ભારતના 9 પૈસાદાર મંદિર, જેની આગળ મોટી મોટી કંપનીઓ નકામી છે, જુઓ લિસ્ટ અને દર્શન કરો

Richest Temple in India : આજે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અને દરેક ગલી, મોહલ્લામાં  રામ રંગ જ રેલાઈ રહ્યો છે. દરેકના મોઢે રામનું નામ ગુંજી રહ્યું છે, કારણ કે આજે 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે. કાર્યક્રમ પણ હવે પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે રામ મંદિરની ગણતરી પણ દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં થવા લાગવાની છે, પરંતુ રામ મંદિર સિવાય પણ એવા 9 મંદિરો છે, જે દુનિયાના સૌથી ધનવાન મંદિરોમાંથી એક છે.

તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર મંદિર (આંધ્ર પ્રદેશ) :

તિરુપતિ મંદિર વિશ્વનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે વિપ્રો, નેસ્લે, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓની કુલ કિંમત કરતાં વધુ છે. મંદિરની વાર્ષિક કમાણી 1,400 કરોડ રૂપિયા છે.

પદ્મનાભ સ્વામી મંદિર, તિરુવનંતપુરમ (કેરળ):

કેરળમાં સ્થિત આ મંદિરની કુલ સંપત્તિ 1.20 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં, આ મંદિરમાં એક નવો ખજાનો મળ્યો છે, જેમાં સોના, ચાંદી અને હીરા અને ઝવેરાતનો વિશાળ ભંડાર છે.

ગુરુવાયુર દેવસમ, ગુરુવાયુર (કેરળ):

ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરમાં અપાર સંપત્તિ છે. 2022માં એક RTIના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે આ મંદિરમાં 1,737.04 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ છે. આ ઉપરાંત મંદિર પાસે 271.05 એકર જમીન પણ છે.

સુવર્ણ મંદિર, અમૃતસર (પંજાબ):

શીખોના સૌથી મોટા ધાર્મિક કેન્દ્ર સુવર્ણ મંદિર વિશે કહેવાય છે કે આ મંદિર વાર્ષિક 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે. મંદિરના નિર્માણમાં લગભગ 400 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિર (ગુજરાત):

આ મંદિર આઝાદી પછી ફરીથી બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં અંદરના ભાગમાં 130 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પીકમાં 150 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર પાસે કરોડોની કિંમતની 1700 એકર જમીન છે.

વૈષ્ણો દેવી મંદિર (જમ્મુ):

વૈષ્ણો દેવી મંદિર હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. દેવીની પૂજા માટે સમર્પિત આ મંદિરને છેલ્લા બે દાયકામાં 1800 કિલો સોનું, 4700 કિલો ચાંદી અને 2 હજાર કરોડ રૂપિયા રોકડનું દાન મળ્યું છે.

જગન્નાથપુરી મંદિર (ઓડિશા):

ઓડિશામાં સ્થિત આ મંદિરની ગણના દેશના સૌથી ધનિક મંદિરોમાં પણ થાય છે. તેની કુલ સંપત્તિ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રથયાત્રા માટે પ્રખ્યાત આ મંદિર પાસે 30 હજાર એકરથી વધુ જમીન છે.

શિરડી સાંઈ બાબા (મહારાષ્ટ્ર):

મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરની ગણના પણ દેશના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. આ મંદિરમાં સાંઈ બાબાની મૂર્તિ માટે 94 કિલો સોનાનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. માત્ર 2022માં જ ભક્તોએ મંદિરમાં 400 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ (મહારાષ્ટ્ર):

મહારાષ્ટ્રના આ ગણપતિ મંદિરની કુલ સંપત્તિ 125 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મંદિર રોજની 30 લાખ રૂપિયાની કમાણી કરે છે.

Niraj Patel