કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહી દીધું. 43 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તેમણે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. જે બાદ 22 સપ્ટેમ્બરે દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોમેડિયનની યાદમાં તેમના પરિવારે ગત રોજ મુંબઈમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં કપિલ શર્મા, ભારતી સિંહ અને જોની લિવર સહિતના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા અને રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજુ શ્રીવાસ્તવનો પરિવાર અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પ્રાર્થના સભામાં રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવ ખરાબ રીતે ભાંગી પડી હતી. જે બાદ તેની દીકરી તેને સંભાળતી જોવા મળી હતી. કોમેડિયન જોની લિવર, સુનિલ પાલ, કપિલ શર્મા, ભારતી સિંહ, કીકુ શારદા, શૈલેષ લોઢા સહિત ઘણા કલાકારો રાજુ શ્રીવાસ્તવની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા.જેમની આંખો પણ ભીની થયેલી જોવા મળી હતી. પ્રાર્થના સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજુ શ્રીવાસ્તવની પત્ની રડતી જોવા મળી રહી છે.
પ્રાર્થના સભા દરમિયાન રાજુ શ્રીવાસ્તવની પત્નીને બે શબ્દો કહેવાનું કહેવામાં આવે છે. તે કહે છે – હું શું કહું, કહેવા માટે કંઈ બચ્યું નથી, મારી તો જિંદગી ચાલી ગઈ. બધાએ ખૂબ પ્રાર્થના કરી, ડોકટરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. અમે બધાએ ઘણો પ્રયત્ન કર્યો. તેમણે બધાને હસાવ્યા અને ઉપર જઈને ત્યાં બધાને હસાવતા હશે. ત્યાં પણ બધાને હસાવો. ખુશ રહો, શાંતિથી રહેજો. આપ સૌનો આભાર. બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે.
જોની લિવરે પ્રાર્થના સભા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી. તેણે કહ્યું રાજુના સંઘર્ષના દિવસો મારી સાથે શરૂ થયા. અમારો કૌટુંબિક સંબંધ હતો અને અમે પડોશી પણ હતા. તેથી તમે કલ્પના કરી શકો છો કે હું કેટલો દુઃખી થઈશ. અમે એક અદ્ભુત કલાકાર ગુમાવ્યા છે. તેમણે ઘણા વર્ષો સુધી લોકોને હસાવ્યા પરંતુ અચાનક તેમનું અવસાન થયું. સ્ટેન્ડઅપ કોમેડી માટે આ બહુ મોટું નુકસાન છે.
View this post on Instagram
રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ લગભગ 42 દિવસ સુધી ત્યાં દાખલ રહ્યો. ડોક્ટરો અને પરિવારના જણાવ્યા અનુસાર, આ દરમિયાન રાજુ એક ફાઇટરની જેમ મોત સાથે લડતો રહ્યો. વચ્ચે એવા અહેવાલો પણ આવ્યા હતા કે રાજુની તબિયત સુધરી રહી છે. રાજુ વેન્ટીલેટર પર હતો. પરંતુ તબીબોના કહેવા મુજબ તેઓ રાજુને વેન્ટિલેટર પરથી હટાવવાના જ હતા કે આ અપ્રિય ઘટના બની. રાજુનું બીપી મોતના દિવસે સવારથી બગડવાનું શરૂ થયું હતું. ડોક્ટરોએ તેને સીપીઆર પણ આપ્યો પરંતુ રાજુ જીવનની લડાઈ હારી ગયો હતો.
View this post on Instagram