સરકારની લાખ કોશિશો છત્તાં પણ દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. દેશમાં આ વેરિયન્ટના બે દર્દીઓ પોઝિટિવ મળ્યા છે. આ બંને મામલા કર્ણાટકમાં મળ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. આરોગ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOને ટાંકીને કહ્યું છે કે કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા 5 ગણું વધુ ખતરનાક છે અને વધુ ઝડપથી ફેલાઈ શકે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 29 દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને WHOએ તેને વેરિયન્ટ ઑફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યું છે. આ પ્રકારથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી. દેશના પ્રખ્યાત ડૉક્ટર અને મેદાંતા હોસ્પિટલના સંસ્થાપક ડૉ નરેશ ત્રેહને આ પ્રકારની ગંભીરતા વિશે જણાવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિ 18થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જેએસ લવ અગ્રવાલે કહ્યું કે જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ અહીં પહોંચતા જ RTPCR ટેસ્ટ કરાવવો પડશે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાય તો તેની સારવાર કરવામાં આવશે. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો તેમને 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. વિશ્વના સૌથી ખતરનાક વેરિયન્ટ વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ મળી આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે વિશ્વનો સૌથી ખતરનાક પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોનના 373 કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે આપણે ગભરાવાની જરૂર નથી, જોકે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. કેરળ, મહારાષ્ટ્રમાં કોવિડના 10,000 થી વધુ સારવાર હેઠળના દર્દીઓ છે, 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,000 થી 10,000ની વચ્ચે છે.
છેલ્લા એક સપ્તાહમાં વિશ્વના કોવિડ-19ના માત્ર 3.1 ટકા કેસ ભારત સહિત દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રમાં નોંધાયા છે. જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિયન્ટથી લોકો સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા બાદ જ કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
દેશમાં ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે, કેન્દ્ર સરકારે તાજેતરમાં દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને એલર્ટ જાહેર કર્યું હતું અને તમામ રાજ્યોને બહારથી આવતા લોકો પર નજીકથી દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે વિદેશથી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.