IPL-2022માં સતત 4 મેચ હારી ચુકેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો ઉત્સાહ વધારવા માટે નીતા અંબાણીએ કર્યો ફોન, વાયરલ થયો વીડિયો, જુઓ શું કહ્યું

IPL 2022માં રોજ રોજ એક નવો રોમાંચ જોવા મળી રહ્યો છે, આઇપીએલનો ખિતાબ મેળવવા માટે દરેક ટીમો તનતોડ મહેનત કરી રહી છે, અત્યાર સુધીની સૌથી દમદાર માનવામાં આવતી ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આ સીઝનમાં કોઈ ખાસ કમાલ નથી કરી શકી, ચેન્નાઇની ટીમે સતત ચાર હાર બાદ ગઈકાલે પહેલી જીત નોંધાવી તો બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ પણ સતત ચાર મેચ હારી ગયું છે.

મુંબઈની સતત ચાર હાર બાદ ટીમનું મનોબળ પણ સહેજ ડગમગી ગયું હોવાના કારણે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીની માલકીન નીતા અંબાણીએ ટીમને હિંમત આપવાનું કામ કર્યું છે, તેમને ફોન કરી અને ટીમનું મનોબળ વધાર્યું, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ફ્રેન્ચાઈઝીના માલકીન નીતા અંબાણી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. નીતા અંબાણીએ કહ્યું, ‘મને તમારા બધા પર પૂરો વિશ્વાસ છે અને મને ખાતરી છે કે આપણે આગળ વધીશું. હવે આપણે ફક્ત આગળ અને ઉપર જવાના છીએ. આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવાની જરૂર છે કે આપણે આ જીતવાના છીએ.”

નીતા અંબાણીએ આગળ કહ્યું, ‘આપણે આ પહેલા પણ ઘણી વખત આમાંથી પસાર થયા છીએ, પછી આગળ વધ્યા અને કપ જીત્યો. તેથી મને પૂરો વિશ્વાસ છે કે તમે એકબીજાને સાથ આપશો. જો તમે એકબીજા સાથે છો, તો આપણે આના ઉપર વિજય મેળવીશું. ત્યાં સુધી તમે જે ઇચ્છો છો તેના માટે તમે બધાને મારો સંપૂર્ણ સમર્થન છે. કૃપા કરીને એકબીજા અને તમારામાં વિશ્વાસ કરો. મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા તમને સપોર્ટ કરવા તૈયાર છે.”

આ અગાઉ, ટીમના ક્રિકેટ ડિરેક્ટર અને 2011ના વિશ્વ વિજેતા બોલર ઝહીર ખાને કહ્યું હતું કે ટીમ માત્ર એક જીત દૂર છે. અમે પ્રથમ જીત નોંધાવીશું કે તરત જ ઝુંબેશ પાટા પર આવી જશે. જોકે, ઝહીર એ વાતથી વાકેફ છે કે સતત પરાજય ખેલાડીઓમાં શંકા પેદા કરી શકે છે. ભારતના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે, ‘હવે 11 વધુ લીગ મેચો રમવાની છે. આપણે પાછા ફરવું પડશે. તમે આ ટુર્નામેન્ટમાં જોયું હશે કે ટીમો સતત જીતી રહી છે કે હારતી રહે છે. આ માત્ર પ્રથમ જીત નોંધાવવાની બાબત છે.

Niraj Patel