રાજકોટમાં બે માસની ગર્ભવતી પરણિતાએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન, સુસાઇડ નોટમાં લખ્યુ એવું કે…

રાજકોટમાં બે માસની ગર્ભવતી મહિલાનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ધડાકો કરી નાખ્યો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, આર્થિક તંગી કે પછી ઘર કંકાસ અને પતિ-પત્ની વચ્ચે ઝઘડો કારણ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. એક પરણિત મહિલા કે જેના સાત માસ પૂર્વે જ લગ્ન થયા હતા તેને બે માસનો ગર્ભ હતો તેણે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ. તેણે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે તેના પતિના અફેરનો ઉલ્લેખ કર્યો હતો. મેટોડાની સગર્ભા મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સુસાઇડ નોટ અંગે મૃતકના પતિનું કહેવુ છે કે, સુસાઇડ નોટ ખોટી છે અને તેને કોઈની સાથે સંબંધ નથી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મેટોડા GIDCમાં ગેઇટ-2 પાસે આવ એકતાનગરમાં રહેતી 22 વર્ષિય જયશ્રીબેન દાફડાએ રાતના રોજ પતિ બહાર ગયા બાદ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ પહેલા તેણે સુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે ‘મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે અને મારું કંઈ રાખતા નથી’ એવો ઉલ્લેખ કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

તેણે પોતાના રૂમમાં પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. સાસુએ રૂમમાં તપાસ કરી તો વહુ લટકેલી હાલતમાં જોવા મળી અને તે બાદ તાત્કાલિક પુત્રને જાણ કરી અને 108ને બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરણિતાને સારવાર હેઠળ ખસેડવામાં આવી. જો કે, ત્યાં ફરજ પરના તબીબે તપાસ કરતા પરણિતાને મૃત જાહેર કરી હતી. પરણિતાના 7 મહિના પહેલા જ લગ્ન થયા હતા. મૃતકના પતિ નયનભાઈ રિક્ષા ચલાવે છે અને તેના લગ્ન સાત માસ પહેલાં થયા હતા. તેમણે સુસાઇડ નોટ શંકાસ્પદ લાગી હોવાનું પણ જણાવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

આ ઉપરાંત પરિણીતાને બે માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. મૃતકનું માવતર જામનગર છે અને તે ત્રણ ભાઈ- બહેનમાં મોટી હતી તેમજ તે સાસરે તેના પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. નવપરણિતાએ તેના પિયર જામનગર ફોન પર વાત કરી હતી કે, સંક્રાતે તમે ઘરે આટો મારવા આવો ત્યારે ટીવી લેતા આવજો. જો કે, તેમને ખબર નહોતી કે આ તેમની દીકરીનો છેલ્લો ફોન હશે. તેમણે કહ્યુ કે, આ દરમિયાન તેમની દીકરી નિરાશ હોય તેમ લાગી રહ્યું નહોતું. જો કે,પરિણીતાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પરિણીતાને તેનો પતિ માનસિક ત્રાસ આપતો અને તેના કારણે જ તેને આ પ્રકારનું પગલું ભર્યુ.

Shah Jina