જૂનાગઢ / પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતા યુવકે જીવન ટૂંકાવ્યું, GPSCના ચેરમેન હસમુખ પટેલે કહી આ વાત
ગુજરાતમાંથી આપઘાતના મામલા અવારનવાર સામે આવે છે, જેમાં નાનાથી લઇને મોટેરાઓ સામેલ હોય છે. હાલમાં રાજ્યમાં હાલ પોલીસ વિભાગની લોકરક્ષક અને પીએસઆઇની ભરતી પ્રક્રિયા શરૂ છે. ત્યારે માણાવદરના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડ જે 9 જાન્યુઆરીના રોજ પોલીસ ભરતીની પરીક્ષા આપવા જામનગર ગયો હતો.

છેલ્લા 8 વર્ષથી તે તૈયારી કરી રહ્યો હતો, જો કે પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પૂરી ન કરતા તે નાપાસ થયો અને તેને લાગી આવતા બાંટવા નજીક અવાવરૂ જગ્યાએ જઈ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે. દોડમાં પરેશ નાપાસ થયો હતો પણ પરિવાર અને મિત્રોએ તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે હું પાસ થયો છું.

પરિવારને પાસ થયાનું કહ્યા બાદ તે જામનગરથી ઘરે આવવા નીકળ્યો ત્યારે બાટવા નજીક આવેલ જંગલમાં જઈ પ્લાસ્ટિકની દોરી બાવળ સાથે બાંધી ગળે ફાંસો ખાઇ લીધો. ઘણા કલાકો વીત્યા પછી પણ પરેશ ઘરે પરત ન ફરતા અને મોબાઇલ બંધ આવતા પરિવાર અને મિત્રોએ શોધખોળ હાથ ધરી. ત્યારે રાત્રે પરેશનું બાઈક રોડ પર જોવા મળ્યું અને આ પછી જંગલ વિસ્તારમાં તે લટકેલી હાલતમાં જોવા મળ્યો.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને તે બાદ પરેશના મૃતદેહને પીએમ માટે માણાવદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જૂનાગઢમાં આ ઘટના મામલે જીપીએસસી ચેરમેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જીંદગી બહુ મુલ્યવાન છે. તેમજ કોઈ પણ નિષ્ફળતા કાયમી હોતી નથી. તેમજ પરીક્ષાની તાણ વખતે હેલ્પલાઈન પર કોલ કરી શકો છે.