કોરોનાના વધી રહેલા સંક્ર્મણને જોતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની કામગીરી અંગેનું સોગંદનામું જાહેર કરવા આદેશ કર્યો હતો, જેથી સરકાર દ્વારા આજે હાઈકોર્ટમાં સોગંદનામું જાહેર કરવામાં આવ્યું હતું. જેમા કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ત્યારે આજે ફરી શરૂ થયેલી હાઇકોર્ટની સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પાસે જવાબ મંગાવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું કે “ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી ગંભીર દર્દીઓ વેઈટિંગમાં રહે છે. ખાનગી અને ડેઝિગ્રેટેડ હોસ્પિટલ દર્દીને દાખલ નથી કરતી.”
આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ગુજરાતની તમામ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ, ICU અને વેન્ટિલેટર માટે 3થી 5 દિવસનું વેઈટિંગ છે.” જેના જવાબમાં સરકાર દ્વારા 30 એપ્રિલ સુધીમાં 1 લાખ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે.