બંધ કરી દેવામાં આવશે ‘નર્કનો દરવાજો’, છેલ્લા 50 વર્ષથી ભડભડ સળગી રહ્યો છે આ ખાડો, સરકાર દ્વારા આપવામાં આવ્યો આદેશ

તુર્કમેનિસ્તાનમાં છેલ્લા 50 વર્ષથી સળગતા ‘ગેટવે ટુ હેલ’ને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તુર્કમેનિસ્તાનના કાર્કુમ રણમાં સ્થિત આ 229 ફૂટ પહોળો અને 66 ફૂટ ઊંડો ખાડો મિથેન ગેસના લીકેજને કારણે સતત બળી રહ્યો છે. હવે આ દેશના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્ડીમુખમેદોવે અધિકારીઓને આદેશ આપ્યો છે કે આ આગને ઓલવવા અને આ ખાડાને બંધ કરવા માટે જે પણ પ્રયાસો કરી શકાય તે તાત્કાલિક શરૂ કરવામાં આવે.

રાષ્ટ્રપતિ ગુરબાંગુલીએ આ ખાડાને કારણે પર્યાવરણને નુકસાન અને નાણાંની ખોટને ટાંકીને તેને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ‘ગેટવે ટુ હેલ’ નામના આ ખાડાને દરવાજા ગેસ ક્રેટર પણ કહેવામાં આવે છે. વર્ષ 2010માં પણ ગુરબાંગુલીએ નિષ્ણાતોને આ ખાડો ભરવા અને આગ બુઝાવવા સૂચના આપી હતી. આ આગ 1971થી સતત સળગી રહી છે. તેની કહાની ખૂબ જ રસપ્રદ છે.

તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં લોકો તેને નર્કનો દરવાજો પણ કહે છે, કારણ કે જ્યાં તે છે, તેની નજીકમાં દરવાજા નામનું ગામ પણ છે. છેલ્લા 50 વર્ષથી કૂવા જેવી જગ્યાએ માત્ર આગ જ દેખાય છે. સોવિયત રશિયાના વૈજ્ઞાનિકોએ અહીં હાજર ગેસ વિશે જાણવા માટે ખોદવાનું શરૂ કર્યું ત્યારથી આ ખાડામાં આગ સળગી રહી છે.

વૈજ્ઞાનિકોના ખોદકામ દરમિયાન ખાડો ખોદવાનું મશીન તેમાં પડી ગયું, ત્યારબાદ તે ખાડામાંથી મિથેન ગેસ નીકળવા લાગ્યો. મિથેન ગેસને વાતાવરણમાં ફેલાતો અટકાવવા વૈજ્ઞાનિકોએ તેમાં આગ લગાવી અને ત્યારથી તે સળગી રહી છે. એટલા માટે આ સળગતા ખાડાને નરકનો પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. જો કે, તે ઘણા લોકો માટે પર્યટનનું કેન્દ્ર પણ છે અને લોકો ઘણા દાયકાઓથી તે ખાડો જોવા જાય છે.

ગુરબાંગુલી બર્ડીમુખમેદોવે કહ્યું કે માનવીઓના ખોટા કાર્યોને કારણે બનેલો આ ખાડો આપણા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. કારણ કે તેની આસપાસના ગામડાઓમાં રહેતા લોકોનું આરોગ્ય કથળી રહ્યું છે. આપણે અમૂલ્ય કુદરતી સંસાધનો પણ સતત ગુમાવી રહ્યા છીએ. જો આપણે આ મિથેન ગેસનો ઉપયોગ કોઈ સકારાત્મક કાર્ય માટે કર્યો હોત તો કદાચ દેશના લોકોને એક અલગ જ ઉર્જા મળી હોત.

એવું નથી કે આ ખાડો હોલવવાના પ્રયાસો અગાઉ કરવામાં આવ્યા નહોતા, પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી હતી. પ્રયત્નો સાથે, માટીના તિરાડ અને રેતીના સરકવાના કારણે ખાડાની પહોળાઈ વધતી જ ગઈ. ધીરે ધીરે તે એક પર્યટન સ્થળ બની ગયું. મજબૂરીમાં, સરકારે તેની આસપાસ ઘેરો નાંખવો  પડ્યો જેથી લોકો તેની નજીક ન જાય. કારણ કે મિથેન ગેસના કારણે સળગતી આગની દુર્ગંધ વધુ ખરાબ થાય છે. અહીં લાંબો સમય ઉભા રહેવાથી તબિયત બગડી શકે છે.

Niraj Patel