પવિત્ર શ્રાવણ માસમાં દીવ પાસે આવેલા આ સ્થળ ઉપર શિવજીનું દિવ્ય રૂપ, પાંડવોએ કરી હતી શિવલિંગની સ્થાપના, ખુદ સમૃદ્ર દેવ કરે છે જળાભિષક, જુઓ

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે અને શિવમંદિરો પણ શિવભક્તોથી છલકાઈ રહ્યા છે અને તેમાં પણ શ્રાવણના સોમવારના દિવસે તો શિવમંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી, ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા શિવ મંદિરોના માહાત્મ્ય વિશેની વાતો સામે આવતી રહે છે. ગુજરાતની અંદર પણ ઘણા બધા શિવ મંદિરો આવેલા છે અને તેનું પણ એક આગવું મહત્વ રહેલું છે.

આજે અમે તમને એવા જ એક શિવમંદિર વિશે જણાવીશું જેનું માહાત્મ્ય પણ ખુબ જ વિશેષ છે. અમે વાત કરી રહ્યા છે દીવનાં ફુદમ પાસે આવેલા પૂરાણ પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવની. પાંચ પાંડવોએ અહીંયા પાંચ શિવલીંગની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આ પાંચ શિવલીંગને સમુદ્રદેવ દરરોજ જલાભિષેક કરે છે.

અરબી સમુદ્રનાં તટે આવેલ સંઘ પ્રદેશ દીવનાં ફુદમ ગામ નજીક પાંચ પાંડવોએ પાંચ શિવલીંગ સ્થાપિત ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા અનુસાર આ મંદિર 5000 વર્ષ જૂનું છે. દરરોજ અહીંયા સમુદ્રદેવ ખુદ પાંચ શિવલીંગને જલાભિષેક કરતા હોઇ ગંગેશ્વરનાં નામથી પ્રચલીત થયેલ છે.

આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જ્યારે પાંચ પાંડવ અજ્ઞાત વાસમાં રહેતા હતા ત્યારે વનવાસ દરમિયાન ફુદમ ગામમાં સાંજ થઇ ચુકી હતી. પાંડવો હંમેશા શિવજીની પૂજા કર્યા બાદ જ ભોજન લેતાં હતા. માટે નજીકમાં કોઇ શિવ મંદિર ના હોવાના કારણે પાંચ પાંડવોએ પોતાની શક્તિ મુજબ પાંચ શિવલીંગનું સર્જન કર્યુ હતું.

આખા વિશ્વની અંદર આ એક માત્ર એવી જગ્યા છે જ્યાં પાંચ શિવલીંગનું મંદિર આવેલું છે. સાથે જ અહીંયા એક ચમત્કાર પણ જોવા મળે છે. આ પાંચ શિવલીંગની નજીક એક ખાડો આવેલો છે જેમાં જ્યારે સમુદ્રનું પાણી જળાભિષેક કરીને પરત ચાલ્યુ જાય છે ત્યારે આ ખાડામાંથી મીઠુ પાણી પીવા માટે મળે છે. આ મંદિરમાં દેશ વિદેશમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે, અને ભોલેનાથના દર્શન કરીને ધન્ય બને છે.

Niraj Patel