સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (SII) તરફથી દેશમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સિન કોવિશિલ્ડને લઇને સરકારે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. વેક્સિન પર સલાહ આપવા માટે બનેલા નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ તરફથી કહેવામાં આવ્યુ છે કે, કોવિશિલ્ડ વેક્સિનના પહેલા ડોઝ બાદ બીજો ડોઝ 4-8 સપ્તાહમાં લગાવી શકાય છે.

તમને જણાવી દઇએ કે, પહેલા 4-6 સપ્તાહમાં ટીકો લગાવવાના નિર્દેશ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે 2 સપ્તાહનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ નિર્દેશ માત્ર કોવિશિલ્ડ વેક્સિન માટે છે અને ભારત બાયોટેકની વેક્સિન કો-વેક્સિન માટે ગાઇડલાઇન્સમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

કોરોના વાયરસના વધતા કહેરને જોતા હવે દેશભરમાં લોકો વેક્સિનની રાહ જોઇ રહ્યા છે. વેક્સિનને લઇને તમામ ગાઇડલાઇન્સ ફોલો કરવી ખૂબ જ જરૂરી છે, ત્યારે હવે આ વચ્ચે કોવિડ 19 વેક્સિન કોવિડ શિલ્ડના બંને ડોઝના સમય માટે નિર્દેશ કરવામાં આવ્યા છે અને નવી ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.

નોંધનીય છે કે, ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા આ વેક્સિન બનાવી રહ્યુ છે, જેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યુ છે. તેના સીઇઓ અદાર પૂનાવાલા છે. કંપનીનું હેડક્વાર્ટર પૂનામાં છે.