બુધવારના રોજ તમિલનાડુના કુન્નૂરમાં ઘટેલી એક દુઃખદ દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. કુન્નુરમાં IAF Mi-17 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્ય અધિકારીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે દિલ્હીમાં તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
સીડીએસ બિપિન રાવતની અંતિમ યાત્રાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે તેમની અંતિમ યાત્રા સમયે કેટલાય લોકો હાથમાં તિરંગી લઈને રસ્તા ઉપર આવ્યા હતા અને “બિપિન રાવત અમર રહો”ના નારા પણ લગાવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા ઉપરથી ઘણા જ કરુણ દૃશ્યો પણ સર્જાયા હતા.
જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. અહીં CJI NV રમન્ના, ત્રણેય સેનાના વડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. CDS બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમની અંતિમ યાત્રા ભાવુક કરી દે એવી રહી છે. દેશના વીરને અંતિમ વિદાય આપવા જાણે આખું દિલ્હી ઉમટી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર માર્ગમાં લોકોએ ફૂલ વરસાવ્યા અને તેમના પાર્થિવ દેહને લઈ જતા વાહન પાછળ ત્રિરંગો લઈને દોડવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ જનરલ બિપિન રાવત અમર રહે એવા નારા પણ લગાવ્યા હતા.
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત અમરતાના આ નારાઓ અને 17 તોપોની સલામીના ગુંજ વચ્ચે પંચતત્વમાં ભળી ગયા. બપોરે 2 વાગે દિલ્હીના 3 કામરાજ માર્ગે તેમના ઘરથી નીકળેલી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
देश के महानायक सेनापति CDS बिपिन रावत व अन्य योद्धाओं को देशवासियों ने नम आंखों से विदाई दी।
ईश्वर उनकी आत्मा को मोक्ष प्रदान करें। #BipinRawat pic.twitter.com/Z6X0oaP43P
— Raghubar Das (@dasraghubar) December 10, 2021
સીડીએસ રાવત અને તેમની પત્નીને તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ રૂઢિચુસ્ત નિયમોને તોડીને અગ્નિદાહ આપ્યો હતો. એટલું જ નહીં, જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના મૃતદેહને પણ એક સાથે ચિતા પર રાખવામાં આવ્યા હતા.