ચોટીલા-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત ! ટ્રક સાથે ધડાકાભેર અથડાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત…

ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માત, દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોનાં કરૂણ મોત, દર્દીનો આબાદ બચાવ

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, જેમાંની કેટલીક ચોંકાવનારી અને ખૌફનાક પણ હોય છે. ત્યારે હાલમાં જ રાજકોટ-ચોટીલા હાઈવે પરથી એક અકસ્માતની ખબર સામે આવી રહી છે. દર્દીને લઇ જઇ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને લોકોની ચીચીયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.

આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટ-ચોટીલા હાઈવે પર સવારનાં સુમારે ચોટીલા તરફથી આવી રહેલ એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર માટે લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ આગળ જઈ રહેલ ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી ગઇ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો.

જેમાં દર્દી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા અને દર્દીનો બચાવ થયો. અકસ્માતમાં બે મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજ્યુ છે, જેમાં વિજય બાવળિયા, પાયલ મકવાણા, ગીતા મિયાત્રાનો સમાવેશ થાય છે. અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર, ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલ તેમના બેન અને દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટીભર્યા મોત નીપજ્યાં.

ગત રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબેન મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી અને દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં. ત્યારે રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતા ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું અને આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા.

જેમાં દર્દી કાજલબેન મકવાણા સાથે તેમની દીકરી પાયલ મકવાણા અને મોટાબેન અને બનેવી તથા પુત્ર હતાં. આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલાઇ ગયો હતો.

Shah Jina