“નરાધમોએ મારા જમાઇને વિશ્વાસમાં લીધા બાદ દગો કરીને ગોળી મારી દીધી” કિશનના સસરાએ વ્યક્ત કર્યો પોતાનો આક્રોશ, જુઓ બીજું શું કહ્યું ?

ધંધુકામાં થેયલા માલધારી યુવક કિશન ભરવાડની હત્યાને આજે એક અઠવાડીયુ પૂર્ણ થઇ ચૂક્યું છે. કિશનની હત્યાના પડઘા આખા ગુજરાતની અંદર ગુંજી રહ્યા છે, તેને ન્યાય મળે તે માટે થઈને મોટાભાગના જિલ્લામાંઓ રેલીઓ યોજી અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર પણ કિશનને ન્યાય મળે તેવી સતત માંગણીઓ થઇ રહી છે.

કિશન ભરવાડ તેની હત્યાના 20 દિવસ પહેલા જ એક ફૂલ જેવી દીકરીનો પિતા બન્યો હતો. હજુ તે તેની દીકરીને મન ભરીને રમાડી નહોતો શક્યો ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવી. કિશનની સાસરી વડોદરામાં આવેલી છે અને કિશનના નિધન બાદ તેના સાસરિયાના લોકો પણ ઊંડા આઘાતમાં જોવા મળી રહ્યા છે.

આ બાબતે કિશનના સસરા સાથે સ્થાનિક મીડિયા દિવ્ય ભાસ્કરની ટીમે વાત કરી હતી. ત્યારે કિશનના સસરા જેસંગભાઈએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટનો વિવાદ થયા બાદ તેમને તેમના જમાઈને વડોદરા આવી જવા માટે પણ જણાવ્યું હતું. પરંતુ જમાઈએ તેમને જણાવ્યું હતું કે આ બાબતે સમાધાન થઇ ગયું છે અને ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી. પરંતુ તેના થોડા જ દિવસ બાદ કિશનની હત્યા થઇ ગઈ.

આ બાબતે દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાત કરતા વડોદરાના ન્યૂવીઆઇપી રોડ નજીક ખોડિયાનગર વિસ્તારમાં રહેતા કિશનના સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે, કિશનની હત્યા થયાના આઠ દિવસ પહેલા જમાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી. મેં તેમને કહ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે. જેના કારણે હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ.”

તેમને આગળ જણાવ્યું હતું કે, “મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી આપો. પરંતુ, નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે, હવે સમાધાન થઇ ગયું છે. પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો, કર્યો અને પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી. અમારી વેદના છે કે, તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.”

ગઈકાલે વડોદરા ખાતે કિશન ભરવાડની સાસરીમાં સાસરિયા પક્ષનું બેસણું યોજવામાં આવ્યું હતું. ત્યાં કિષ્નભાઈના સસરા જેસંગભાઈ અને તેમના સાળા પ્રકાશભાઈએ દિવ્ય ભાસ્કરને જણવ્યું હતું કે “અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.”

Niraj Patel