નવસારીના વિજલપુરમાં 5 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાયો, રેસ્ક્યૂ કરીને સારવાર અપાય તે પહેલા જ મોત
નવસારીના વિજલપુર વિસ્તારમાંથી માતા-પિતા માટે હૃદયવિદારક કિસ્સો સામે આવ્યો છે. નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં સવારે 9 વાગ્યે 5 વર્ષીય બાળક લિફ્ટમાં ફસાઈ ગયો અને તે બાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપી બાળકને બહાર કાઢ્યો. જો કે, બાળકનો જીવ બચાવી ન શકાયો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં મહિલા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી ત્યારે માતા આવે એ પહેલા જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી અને લિફ્ટમાં ફસાઈ ગયો. આ પછી તાત્કાલિક બાળકને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમે કટર વડે લિફ્ટનો દરવાજો કાપ્યો. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. નિરવ એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો અગાઉ વપરાતી લોખંડની જાળીવાળી લિફ્ટ છે. જેની આગળ લાકડાનો દરવાજો છે. બાળક લાકડાનો દરવાજો ખોલી અંદર જવા ગયો, પરંતુ દરવાજાનો તેને ધક્કો લાગ્યો અને લિફ્ટ અંદરની લોખંડની જાળી બંધ થાય તે અગાઉ જ લિફ્ટ શરૂ થઈ ઉપર જવા લાગી. આ કારણે બાળકનો કમરનો ભાગ બહાર અને શરીર લિફ્ટની અંદર ફસાઈ ગયું.આશરે દોઢ કલાકની મહેનત બાદ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો.
