10 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલનો સામે આવ્યો આલ્કોહોલ રિપોર્ટ, જાણો તેને દારૂ પીધો હતો કે નહિ

Tathya Patel’s Alcohol Report : અમદાવાદના સૌથી મોટા કહી શકાય એવા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે, 10 લોકોને પોતાની ગાડીથી મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના મામલામાં પણ એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. પોલીસ પણ તેની કડકાઈથી પુછપરછ કરી રહી છે, ત્યારે ગત રોજ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ તેનો આલ્કોહોલ રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં પણ એક મહત્વનો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે.

સામે આવ્યો તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ :

તથ્યના આલ્કોહોલ રોપોર્ટને લઈને અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નિતા દેસાઇએ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમને જણાવ્યું કે “આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી.” આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે “તેઓ કારમાં મસ્તી કરતા હતા કે નહિ અને અકસ્માતના દિવસે તથ્ય કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, તે અંગેની તપાસ હજુ બાકી છે.”

ડ્રગસર રિપોર્ટ આવવાનો બાકી :

આ ઉપરાંત DCP નિતા દેસાઇએ જણાવ્યું કે “અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી. “આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે તથ્યએ અગાઉ કોઈ અકસ્માત સર્જ્યો હતો કે નહિ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમને તથ્યનો DNA અને ડ્રગ્સ રિપોર્ટ પણ કરાવ્યો છે, જે પણ હજુ આવવાનો બાકી છે, આ રિપોર્ટ આવ્યા બાદ પણ વધુ ખુલાસા થઇ શકે છે.

ફોન જપ્ત કરીને FSLમાં તપાસ માટે મોકલ્યો :

પોલીસ દ્વારા RTOમાંથી જોઈન્ટ વિઝીટ કરી હતી  પરંતુ હજુ તેનો પણ રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઉપરાંત તેનો ફોન પણ જપ્ત કરીને FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે. જેના દ્વારા પણ કેટલાક ખુલાસા થઇ શકે છે. તમને જણાવી દઈએ કે તથ્ય પટેલની જેગુઆર કારથી આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ નવ લોકોના મોત નિપજ્યા હતા, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ પણ સામેલ હતા, આ ઉપરાંત એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Niraj Patel