કયારેક વાસણો ધોતા અને ખાવાનું પણ બનાવતા હતા આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, બનિયાન પહેરી લેવા પહોંચ્યા હતા પુરસ્કાર

સાહેબ મારા પાસે દિલ્લી આવવાના પૈસા નથી કૃપા કરીને પુરસ્કાર પોસ્ટથી મોકલાવી દો

‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’… આ કહેવત 21મી સદીમાં બંધબેસતી નથી. તેની પાછળનું મુખ્ય કારણ પૈસા છે. આજે માણસ માત્ર અને માત્ર પૈસાની પાછળ દોડી રહ્યો છે, પરંતુ આ દેશમાં એક એવો વ્યક્તિ છે જે સક્ષમ હોવા છતાં પણ ધન અને સંપત્તિના આ મોહથી પોતાને દૂર રાખે છે. સાહેબ ! મારી પાસે દિલ્હી આવવા માટે પૈસા નથી, કૃપા કરીને એવોર્ડ (પદ્મશ્રી) પોસ્ટ દ્વારા મોકલી દો. આ વાત જેમણે કહી હતી તે વ્યક્તિ ઓડિશાના પ્રખ્યાત લોકકવિ હલધર નાગ હતા, જેમને સાહિત્યના ક્ષેત્રમાં યોગદાન બદલ વર્ષ 2016માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી એવોર્ડ’ મળ્યો હતો.

સફેદ ધોતી, ગમછો અને બનિયાન પહેરીને હલધર નાગ જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસેથી ‘પદ્મશ્રી એવોર્ડ’ લેવા માટે ઉઘાડા પગે આવ્યા ત્યારે તેમને જોઈને બધાની આંખો પહોળી થઇ ગઈ હતી. આ દરમિયાન દેશની ન્યૂઝ ચેનલો પર એવી ચર્ચા ચાલી રહી હતી કે એક સક્ષમ વ્યક્તિ આવું જીવન જીવવા માટે મજબૂર કેમ છે. ઓડિશાના 71 વર્ષીય હલધર નાગ ‘કોસલી ભાષા’ના પ્રખ્યાત કવિ છે.

તેમનો જન્મ 1950માં ઓડિશાના બારગઢ જિલ્લાના એક ગરીબ પરિવારમાં થયો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે તેના માતા-પિતાના અવસાન બાદ તેમણે ત્રીજા ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો. તેમણે ઘણા વર્ષો ઢાબામાં વાસણો સાફ કરવામાં વિતાવ્યા. આ પછી હલધર નાગે 16 વર્ષ સુધી સ્થાનિક શાળામાં રસોઈયા તરીકે કામ કર્યું.

થોડા વર્ષો પછી, તેમણે બેંકમાંથી 1000 રૂપિયાની લોન લીધી અને શાળાની સામે પુસ્તક, પેન અને પેન્સિલ વગેરેની એક નાની દુકાન ખોલી. આ સાથે તે ઘણા વર્ષો સુધી પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા. આ દરમિયાન તેઓ કંઈક ને કંઈક લખતા રહ્યા અને તેમણે તેમના લખવાના શોખને મરવા ન દીધો. 1990માં, હલધર નાગે તેમની પ્રથમ કવિતા ‘ધોડો બરગચ’ (ધ ઓલ્ડ બન્યાન ટ્રી) લખી. આ કવિતા સાથે, તેમણે તેમની અન્ય 4 કવિતાઓ સ્થાનિક સામયિકમાં પ્રકાશન માટે મોકલી અને તેમની તમામ રચનાઓ પ્રકાશિત થઈ. આ પછી, તેમના લેખનની જે પ્રક્રિયા શરૂ થઈ, તે આજ સુધી ચાલુ છે.

તેઓ કહે છે, ‘મારા માટે આ બહુ સન્માનની વાત હતી અને આ ઘટનાએ મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કર્યો. આ પછી, મેં મારી આસપાસના ગામડાઓમાં જઈને લોકોને મારી કવિતાઓ સંભળાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન મને લોકોનો સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો. હલધર નાગની સૌથી મહત્વની વાત એ છે કે તેમને 20 મહાકાવ્યો સિવાય અત્યાર સુધીની તમામ કવિતાઓ યાદ છે. તે જે પણ લખે છે, તેમને યાદ રહે છે. તમારે ફક્ત કવિતાનું નામ અથવા વિષય સ્પષ્ટ કરવાની જરૂર છે. આજે પણ તેમને તેમના દ્વારા લખાયેલ એક એક શબ્દ યાદ છે.

તેઓ કહે છે કે મને આનંદ છે કે યુવા પેઢીને ‘કોસલી ભાષા’માં લખાયેલી કવિતાઓમાં ખૂબ જ રસ છે. મારી દૃષ્ટિએ કવિતા માટે વાસ્તવિક જીવન સાથે સંબંધ હોવો અને તેમાં સામાજિક સંદેશ હોવો ખૂબ જ જરૂરી છે. ઓડિશામાં ‘લોક કવિ રત્ન’ તરીકે પ્રખ્યાત, હલધર નાગની કવિતાઓની થીમ મોટે ભાગે પ્રકૃતિ, સમાજ, પૌરાણિક કથાઓ અને ધર્મ પર આધારિત છે. તેઓ તેમના લખાણો દ્વારા સામાજિક સુધારણાને પ્રોત્સાહન આપવા પણ તત્પર છે. તમને જણાવી દઈએ કે આજે હલધર નાગને કોઈ ઓળખની જરૂર નથી. તેમના લખાણોના સંકલન ‘હલધર ગ્રંથાવલિ-2’ને પણ ઓડિશાની ‘સંબલપુર યુનિવર્સિટી’ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવ્યો છે.

Shah Jina