મિત્રતાને લઈને સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, મિત્રતા ઉપર ઘણા ગીતો પણ બન્યા છે, પરંતુ આજના સમયમાં સાચા મિત્રને શોધવો એ દરિયામાં સોય શોધવા બરાબર છે, માણસોની મિત્રતા વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ હાલ મોરની મિત્રતાનો એક વીડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે બે લોકો એક મોરને લઈને તેની દફન વિધિ કરવા માટે જઈ રહ્યા છે અને તેમની પાછળ પાછળ એક બીજો મોર પણ ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો બે દિવસ જૂનો છે અને મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો રાજસ્થાનના નાગૌરનો છે.
નાગૌર જિલ્લાના કુચેરા વિસ્તામાં આવેલા થલાકી ધાણીની આ ઘટના જણાવવામાં આવી રહી છે. જ્યાં બે દિવસ પહેલા એક મોરનું મોત થઇ ગયું . લગભગ 8 વર્ષના આ મોરની એક આંખમાં થોડી તકલીફ હતી. તે હંમેશા એક બીજા મોર સાથે જ રહેતો હતો. ગામની અંદર પણ બંને સાથે જ દાણા ચણવા માટે આવતા હતા.
પરંતુ સાથી મોરનું મોત થયા બાદ બીજો મોર ત્રણ કલાક સુધી તેના શબની પાસે બેઠો રહ્યો. પછી જયારે મોરના મોતની જાણ ગામના લોકોને થઇ ત્યારે બે યુવક આવ્યા અને એક કપડામાં મોરના શબને રાખીને દફનાવવા માટે ખેતર તરફ લઇ ગયા, ત્યારે પણ મોર તેમની પાછળ પાછળ ચાલતો રહ્યો.
જયારે ગામના લોકો મોરના શબને ખેતરમાં દફનાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોર પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આગળ આગળ યુવક મોરના શબને લઈને જઈ રહ્યા હતા અને પાછળ પાછળ મોર સાથી ચાલી રહ્યો હતો. આ નજારો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.
આ ઘટનાને લઈને મીડિયા સાથે વાતચીત કરતા વન અને વન્ય જીવ રક્ષાના જિલ્લા ઉપાધ્યક્ષ રામસ્વરૂપ બિશ્નોઇએ જણાવ્યું કે તેમના ફાર્મ ઉપર વિભિન્ન જીવ વિચરણ કરે છે. તેમાંથી આ બંને મોર પરિવારના સદસ્યોની જેમ રહેતા હતા. જયારે પણ તે સવાર સાંજે જમવા બેસતા હતા ત્યારે પણ મોર તેમની સાથે આવીને જમતા હતા.
આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું કે જો કોઈ કામ માટે તે બહાર જતા ત્યારે મોરની સાથે તેઓ જમી શકતા નહોતા તો તે એકદમ બાળકોની જેમ રિસાઈ જતા હતા. કોઈપણ જાતના દાણા પાણી પણ નહોતા લેતા, જેના બાદ તેમને મનાવવા પડતા. પરંતુ હવે આ બંનેમાંથી એક મોરની નિધન થયું છે જેના બાદ તેમને પણ આ વાતનું ઊંડું દુઃખ છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો પણ ભાવુક થઇ રહ્યા છે, સાથે જ આ મોરની મિત્રતાની પણ ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે મિત્રતા હોય તો આ મોર જેવી, તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ મોરની મિત્રતા પાસે માણસે પણ શિખામણ લેવી જોઈએ.