10 દિવસના રિમાન્ડ પર મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, હિન્દુવાદી નેતા હતા નિશાને- સુરત કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
દેશના હિન્દુવાદી નેતાઓને ટાર્ગેટ કરનાર તેમજ તેમને ધમકી આપી હત્યાનું કાવતરું રચનાર સુરતના મૌલવી સોહેલ અબુબકર ટિમોલ સુરત ક્રાઈમ બ્રાન્ચે શનિવારના રોજ ધરપકડ કરી હતી અને તે બાદ આજે સુરતની કોર્ટમાં રજૂ કર્યો હતો. સુરત કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે આરોપી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર થતા મોટા ખુલાસા થઇ શકે છે. આ ઉપરાંત હિંદુ નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર પણ બહાર આવી શકે છે.
જણાવી દઇએ કે, સુરત DCB પોલીસે આરોપી મૌલવીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મૌલવીએ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંહ અને નુપુર શર્મા જેવા આ તમામને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું પાકિસ્તાન વિયતનામ ઇન્ડોનેશિયા નેપાલ સહિતના લોકોના સંપર્કમાં રહીને રચ્યું હતું. એવું સામે આવ્યુ છે કે મૌલવી સોહેલ અબુબકર પાકિસ્તાનના હેન્ડલર ડોગરભાઈ અને નેપાળના શહેનાઝ નામના શખ્સના સંપર્કમાં હતો.
આરોપીની વાત કરીએ તો તે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી એક મદરેસામાં મૌલવી તરીકે બાળકોને ભણાવે છે, અને મુળ મહારાષ્ટ્રના નંદુરબારનો છે. જો કે તે ઘણા સમયથી સુરતના કઠોળ ગામ ખાતે આવેલા મદરેસામાં તાલીમ આપે છે તેણે ‘આમીલ’ની પદવી પણ મેળવી છે. આ ઉપરાંત તે લસકાણા ખાતે આવેલા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે.