તથ્ય પટેલે કોર્ટમાં અરજી કરીને કહ્યું, હૃદયના અનિયમિત ધબકારાની સારવાર કરાવવી છે, હાઇકોર્ટે કહ્યું- કે…

HC rejected Tathya Patel’s interim bail  : 19 જુલાઈની મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલા ગોઝારા અકસ્માતની વાત કરતા જ કમકમીયા આવી જાય. રૂપિયા વાળા બાપના નબીરા તથ્ય પટેલે અકસ્માત જોવા ઉભેલા અને મદદ કરી રહવાલા લોકો પર પોતાની જેગુઆર કાર ચઢાવી દીધી હતી, જેમાં 9 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

આ ઘટનામાં પોલીસે તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરી લીધી હતી. તથ્યના પિતા હાલ જામીન પર બહાર આવી ગયા છે, પરંતુ તથ્ય પટેલ હજુ જેલની હવા ખાઈ રહ્યો છે. તથ્ય હાલ સાબરતમી જેલમાં બંધ છે. તેના વિરુદ્ધ IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો.

છેલ્લા 7 મહિનાથી જેલમાં બંધ તથ્ય બહાર નીકળવા માટે હવાતિયાં મારી રહ્યો છે. પરંતુ કોર્ટ દ્વારા તેને હજુ સુધી કોઈ રાહત આપવામાં નથી આવી રહી. આ વખતે પણ તેને છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈ સારવાર લેવા અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે આ અરજી પણ ફગાવી દીધી છે.

તથ્યએ ગત જાન્યુઆરી મહિનામાં છાતીમાં તકલીફ અને હૃદયના ધબકારાની અનિયમિતતાને લઈને ટ્રાયલ કોર્ટમાં સારવાર માટે 4 અઠવાડિયાંની હંગામી જામીન અરજી કરી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે આ અરજીને નકારી નાખી હતી. જેના બાદ તથ્યએ ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી.

આ સંદર્ભે અરજદારના વકીલે જણાવ્યું હતું કે “તથ્ય 20 વર્ષનો છે, તેને છાતીમાં હૃદયસંબંધી તકલીફ છે. તેના હાર્ટબીટમાં વારંવાર ઉતારચઢાવ આવી રહ્યો છે.” આ ઉપરાંત તેના વકીલે કોર્ટ સમક્ષ મેડિકલ પેપર પણ મૂક્યા હતા. તથ્ય પટેલની ખાનગી હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવવી હતી. જોકે સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, તથ્યનો ECG રિપોર્ટ નોર્મલ છે.

ત્યારે આ અરજીના સંદર્ભેએ હાઇકોર્ટે કહ્યું હતું કે “આજના સમયમાં દરેકના હૃદયના ધબકારા અનિયમિત હોય છે, જે નોર્મલ બાબત છે. તથ્યએ સારવાર માટે અને મેડિકલ પેપર મેળવવા માટે જેલ ઓથોરિટીને રજૂઆત કરવાની રહેશે. જેના બાદ હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી.

Niraj Patel