પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર-2 વિસ્તારમાં શુક્રવાર (21 નવેમ્બર)ની વહેલી સવારે બહુ દુઃખદ ઘટના બની છે. એક રહેણાંક ઘરમા લાગેલી ભયાનક આગના કારણે એક જ પરિવારના ચાર લોકોનું દુઃખદ અવસાન થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મકાનમાં આગ લાગી પછી ધુમાડાના ઘેરા પ્રભાવને કારણે દોષી પરિવારના ચારેય સભ્યોનું કરુણ અવસાન થયું. મૃત્યુ પામનારની ઓળખ 50 વર્ષના કમલભાઈ દોષી, 45 વર્ષની દેવલબેન દોષી, 24 વર્ષના કમલ દોષી અને 22 વર્ષના રાજ દોષી તરીકે થઈ છે. કમલ દોષી જ્વેલરીનો વેપાર સંભાળતા હતા. આ દુખદ બનાવને પગલે જૈન સમાજથી લઈને આખા ગોધરા શહેરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
દુઃખની વાત એ છે કે આજના જ દિવસે મૃતક પુત્ર દેવ કમલ દોષીની સગાઈ માટે પરિવાર વાપી જવાનો હતો. પરંતુ સગાઈના આનંદ પહેલા જ બનેલી આ આગની દુર્ઘટનાએ પરિવારના ચારેય સભ્યોનો જીવ લઈ લીધો, જે કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગયો છે.
આગની ઘટના અંગે માહિતી મળતા જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે ત્વરિત કામગીરી હાથ ધરી, જ્યારે પોલીસે ચારેય મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા. હાલ સુધી મકાનમાં આગ કેવી રીતે ભભૂકી તે અંગે કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.


