અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશની સાથે સાથે વિદેશમાં રહેતા લોકો પણ આની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ભારતમાં તો ખૂણે ખૂણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ પણ અલગ જ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે નવસારીમાં બે ભાઇઓની અનોખી રામભક્તિ જોવા મળી રહી છે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ફ્રીમાં વડાપાંવ
વડાપાઉં વેચતા બે ભાઈઓએ જાહેરાત કરી કે રામલલાની જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યાં સુધી ફ્રીમાં વડાપાઉં આપવામાં આવશે. યોગેશ્વર વડાપાવ નવસારીમાં પ્રખ્યાત છે અને આને ચલાવતા બે ભાઇઓએ જાહેરાત કરી છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની ભાગીદારી દર્શાવવા ફ્રીમાં વડાપાંવનું વિતરણ કરવામાં આવશે. સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું કે, નવસારીના લોકો માટે પાંચ હજાર કરતા પણ વધુ વડાપાવ બનાવવામાં આવશે.
બે રામભક્તની અનોખી ભક્તિ
ભગવાન રામ 500 વર્ષ પછી ફરી મંદિરમાં બિરાજવાના છે અને તેના પર મીટ માંડીને બેઠેલા રામ ભક્તો માટે આ કાર્ય પ્રસાદથી ઓછું નથી. લોકોને આ રીતે વડાપાંવ આપી સંચાલકો દ્વારા પોતાની ભક્તિ બતાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સંચાલક લક્ષ્મીકાંતભાઈ અને સુરેશભાઈએ નવસારીના લોકોને વિના મૂલ્યે ભગવાન શ્રીરામનો પ્રસાદ લેવા માટે 22 તારીખે આવવા આમંત્રણ પાઠવ્યું છે.
Source : ન્યુઝ 18 ગુજરાતી