ખેડા : લગ્નમાં જમ્યા પછી જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ, દુલ્હનની પણ બગડી તબિયત- જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર ફૂડ પોઇઝનિંગના મામલા સામે આવે છે, કેટલીકવાર તો લગ્ન કે પછી બીજા કોઇ ફંક્શનમાં જમણવાર બાદ લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની પણ ખબર સામે આવે છે, ત્યારે હાલમાં જ ખેડા પાસે એક લગ્ન પ્રસંગમાં ચોંકાવનારી ઘટના બની. રાજપીપળાથી આવેલ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને લગ્નમાં જમ્યા બાદ એકસાથે 45 જેટલાં જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા.

આ ઉપરાંત દુલ્હનની પણ તબિયત લથડતા તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આ ઘટના બની હતી. ચાલુ બસમાં જાનૈયાઓને ઉલ્ટી સાથે પેટમાં દુખાવો ઉપડ્યો અને પછી એક પછી એક એમ જાનૈયાઓની તબિયત બગડવા લાગી, જેને લઇને એમ્બ્યુલન્સથી તેમને હોસ્પિટલ લઈ જવાયા. જો કે, હાલ તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત સુધારા પર છે.

અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરિવાર રાજપીપળા જવા રવાના થયો હતો. આ દરમિયાન નડિયાદ ટોલબૂથ પાસે વારાફરતી જાનૈયાઓને ઉલ્ટી અને પેટમાં દુખાવો થવા લાગ્યો. જેને કારણે 108ને જાણ કરવામાં આવી અને પછી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. પ્રાપ્ત જાણકારી અનુસાર, સોમવારે મોડી રાતે લગ્ન બાદ જાનૈયાઓ બસમાં અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા, ત્યારે જ નડિયાદ પાસે આ ઘટના બની.

વરરાજાની કાર પણ હોસ્પિટલ પહોંચી હતી, કારણ કે દુલ્હનની પણ તબિયત લથડતા તેને પણ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે વેલકમ ડ્રીંક સાથે દુધની બનાવટનો જ્યુસ અને ગાજરના હલવા સાથેનું ભોજન પિરસાયું હતું. આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ છે કે કન્યા પક્ષના લોકોએ પણ આ ભોજન આરોગતા તેઓ પણ ફુડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા.

Shah Jina