મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થઇ ગયુ છે, તેમણે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
21 ફેબ્રુઆરીના રોજ 86 વર્ષિય મનોહર જોશીની તબિયત વધારે બગડવા લાગી હતી જેને કારણે પરિવાર તેમને લઇને હિંદુજા હોસ્પિટલ પહોંચ્યા હતા. આઇસીયુમાં ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી હતી. જો કે, શુક્રવારે તેમણે 3 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા.
મનોહર જોશીનો પાર્થિવ દેહ 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રૂપારેલ કોલેજ, માટુંગા પશ્ચિમમાં તેમના વર્તમા નિવાસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા શરૂ થશે. રાજકીય સમ્માન સાથે દાદર શ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરાશે. લગભગ 5 દાયકા સુધી રાજનીતિમાં સક્રિય રહેનાર મનોહર જોશી રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યા છે.
તેમનું રાજનીતિક જીવન મુંબઇ નગર નિગમના પાર્ષદના રૂપમાં શરૂ થયુ હતુ જે બાદ તે મહાપૌર, વિઘાન પરિષદ સભ્ય, નેતા, લોકસભા અને રાજ્યસભા સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી પણ બન્યા અને પછી બાદમાં એનડીએ સરકાર દરમિયાન લોકસભાના અધ્યક્ષ પણ રહ્યા. જ્યારે શિવસેના 1995માં મહારાષ્ટ્રમાં પ્રથમ વખત સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી.
શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાલ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્યમંત્રી તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે મનોહર જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહિ.