દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવે છે અને ચાહકો પણ તેને ખૂબ ટેકો આપે છે. જો કે આ દરમિયાન બાબિલ ખાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોયા પછી ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેઓ સમજી શકતા નથી કે બાબિલ ખાનને શું થયું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબિલ ખાન અસ્વસ્થ દેખાઈ રહ્યો છે અને તેની આંખોમાં આંસુ છે.
ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા તે કહે છે, ‘બોલિવૂડ ખૂબ જ નકલી છે, બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે.’ આ પછી, તે ઘણા કલાકારોના નામ લે છે અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તાજેતરમાં જ બાબિલે આ વીડિયો તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, પરંતુ તેણે તેને તરત જ ડિલીટ કરી દીધો. જો કે આ વીડિયો વાયરલ થઇ ગયો છે. આશ્ચર્યજનક રીતે, તેનું એકાઉન્ટ પણ ડિલીટ અથવા અનએક્ટિવ કરી દેવામાં આવ્યું હતુ.
બાબિલ ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘મારો મતલબ એ છે કે હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ જેવા લોકો પણ છે.’ બીજા ઘણા નામો છે. બોલીવુડ ખૂબ જ નકલી છે. બોલીવુડ ખૂબ જ અસંસ્કારી છે. આ પછી બાબિલ કહે છે, ‘બોલિવૂડ એ સૌથી નકલી ઉદ્યોગ છે જેનો હું ક્યારેય ભાગ રહ્યો છું.’ પણ કેટલાક લોકો એવા છે જે ઈચ્છે છે કે બોલીવુડ વધુ સારું બને, હું તમને ઘણું બધું બતાવવા માંગુ છું, ઘણું બધું.
મારી પાસે તમને આપવા માટે ઘણું બધું છે. હાલમાં આ વીડિયો પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ યુઝર્સે બાબિલની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુઝર્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું તે ઇન્ડસ્ટ્રીમાં એકલતા અનુભવી રહ્યો છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે અભિનેતા કોઈ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ બાબિલ ખાનની ટીમ અને પરિવાર દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું.
જેમાં કહેવામાં આવ્યું કે, બાબિલ માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ વાત કરે છે. તેને પણ ક્યારેક ખરાબ લાગવાની સ્વતંત્રતા છે, આ તેનો પણ ખરાબ દિવસ હતો. અમે બધાને ખાતરી આપવા માંગીએ છીએ કે તે હવે સુરક્ષિત છે અને જલ્દી સ્વસ્થ થઈ જશે. આ ઉપરાંત, નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું કે બાબિલે ઇન્ડસ્ટ્રી કે અર્જુન કપૂર-અનન્યા પાંડે માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ તે તેમની પ્રશંસા કરી રહ્યો હતો. પરિવારનું નિવેદન બહાર આવ્યા પછી, સોશિયલ મીડિયા યુઝર્સનો આરોપ છે કે હવે આ મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વીડિયો વાયરલ થતાં જ અભિનેતાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ડિલીટ કરી દીધું, પરંતુ મામલો વધતાં જ બાબિલ ખાનની ટીમે એક નિવેદન બહાર પાડીને તેના નિવેદન પર સ્પષ્ટતા કરી અને આ બધી ઘટનાઓના થોડા કલાકો પછી જ તે ઇન્સ્ટાગ્રામ પર પાછો ફર્યો. સોશિયલ મીડિયા પર પાછા ફરતાની સાથે જ બાબિલ ખાને એક પછી એક ઇન્ડસ્ટ્રીના તેના મિત્રોની માફી માંગી. તેણે અર્જુન કપૂર, રાઘવ જુયાલ, ગૌરવ આદર્શ, અરિજિત સિંહના નામે પોસ્ટ શેર કરી અને પોતાનો ખુલાસો આપ્યો. તે પોતાની પોસ્ટમાં લખે છે કે તેની પાસે સોશિયલ મીડિયા પર બીજી કોઈ પણ બાબતમાં સામેલ થવાની શક્તિ નથી, પરંતુ તે તેના મિત્રો અને જે લોકોનો તે આદર કરે છે તેમને સ્પષ્ટતા આપવાની જવાબદારી છે.
બાબિલ ખાન રાઘવ જુયાલને સંબોધિત પોતાની પોસ્ટમાં લખે છે, ‘રાઘવ ભાઈ તમે મારા આઇકોન છો, મારા આદર્શ છો, એવા મોટો ભાઈ છો જે મારો ક્યારેય નહોતો’. ગૌરવ આદર્શની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘આભાર ભાઈ.. અડધી જિંદગી ગેરસમજમાં પસાર થાય છે, પણ સાચા મિત્રો સાથે હૃદય શુદ્ધ રાખો, આ મારી ઈચ્છા છે’. અભિનેતાએ તેમના સ્વર્ગસ્થ પિતા ઇરફાન ખાનનો રડતો વીડિયો પણ શેર કર્યો છે.
View this post on Instagram