બોયકોટ TMKOC વચ્ચે હવે અસિત મોદીને આવવું પડ્યું સામે… દયાબેનના શોમાં આવવાને લઈને આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું ?

શું ખરેખર હવે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો બંધ થઇ જવાનો છે ? અસિત મોદીએ આ વાતને લઈને તોડી ચુપ્પી, દયાબેન અંગે પણ કરી સ્પષ્ટતા

Asit Modi Says Dayaben Will Soon Return : ટીવી પર છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલો શો તારક મહેતા કા ઉલટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે.  પરંતુ છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં આ શોનો બોયકોટ ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે જ શોના પ્રોડ્યુસર અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. ઘણા સમયથી દર્શકો શોમાં દયાબેનની ગેરહાજરી અંગે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે નિર્માતાઓએ વચન આપ્યું છે કે દયાબેનનું પાત્ર ટૂંક સમયમાં શોમાં પાછું આવશે.

બોયકોટ TMKOC થયું ટ્રેન્ડ :

દયાબેનના પાત્રમાં પરત ન આવવાને કારણે સોશિયલ મીડિયા પર ‘બોયકોટ TMKOC’ ટ્રેન્ડ કરી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ વિવાદ વચ્ચે આસિત મોદીએ હવે પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસિત મોદીએ તાજેતરમાં એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓફ એર નથી થઈ રહ્યો. શોના નિર્માતાએ એમ પણ જણાવ્યું કે દયાબેનના પાત્રની શોધ ચાલી રહી છે. આસિત મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભલે થોડો વિલંબ થયો હોય પણ પાત્ર જલ્દી પાછું આવશે.

અસિત મોદીએ તોડી ચુપ્પી :

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, ‘હું અહીં મારા દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છું અને હું મારા દર્શકો સાથે ક્યારેય ખોટું નહીં બોલું. માત્ર અમુક સંજોગોને લીધે અમે દયાના પાત્રને સમયસર પાછું લાવી શકતા નથી. પરંતુ, આનો અર્થ એ નથી કે આ પાત્ર શોમાં પ્રવેશ કરશે નહીં. હવે તે દિશા વાકાણી છે કે અન્ય કોઈ એ તો સમય જ કહેશે. પરંતુ, દર્શકોને મારું વચન છે કે દયા પાછી આવશે, અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્યાંય જવાનું નથી. પંદર વર્ષ સુધી કોમેડી શો ચલાવવો એ સહેલું કામ નથી.”

દયાબેનના પાત્રને લઈને કરી વાત :

આ શોમાં જ્યાં દરેક દયા ભાભીનું પાત્ર જોવા માંગે છે, ત્યાં મેકર્સ પણ આ પાત્રની વાપસી માટે કામ કરી રહ્યા છે. આસિત મોદીએ મીડિયાની વાતચીતમાં પણ ઘણી વખત આ વાતનો ખુલાસો કર્યો છે. અસિત મોદીએ કહ્યું, ‘દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે. પાત્ર માટે પસંદગી કરવી સરળ નથી અને દિશાની ભૂમિકા ભજવવી કોઈપણ અભિનેત્રી માટે પડકારરૂપ હશે. આ ભૂમિકા માટે અમારી શોધ ચાલુ છે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા જેઠાલાલ ગડાનું પાત્ર ભજવ્યું છે. અભિનેત્રી 2017માં રજા પર ગઈ હતી અને ત્યારથી તે પાછી ફરી નથી.

Niraj Patel