ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે તો ઘણીવાર કાર ચલાવતા ડ્રાઇવરને ઝોકુ આવી જવાને કારણે ગમખ્વાર અકસ્માત થાય છે. ત્યારે રાજ્યમાં અકસ્માતોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં આણંદના સોજિત્રા પાસે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા.
ઘટનામાં ભોગ બનનાર ચાર સોજીત્રા ગામના તથા અન્ય બે બોરીયાવી ગામના રહેવાસી છે. જે અકસ્માત સર્જનાર કાર ચાલક છે તે કોંગ્રેસના સોજિત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઇ હોવાનું સામે આવ્યુ છે. રક્ષાબંધનના દિવસે જ આ અકસ્માત સર્જાતા મૃતકના પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. અકસ્માતમાં યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ,
તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે. રક્ષાબંધનના દિવસે જ આ ગોઝારી ઘટના સર્જાઇ હતી. મૃતકમાંથી 3 તો એક જ પરિવારના હોવાને કારણે પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.MLA પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યા હતા અને તપાસમાં કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ પણ મળ્યું હતું. કેતન પઢિયારને ઇજા પહોંચવાને કારણે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
હાલ તો પોલીસે કેતન પઢિયાર સામે માનવવધ કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે..પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષાબંધનનો તહેવાર મનાવીને પરિવારના સભ્યો પરત ફરી રહ્યા હતા ત્યારે જ આણંદના સોજીત્રા પાસે આ અકસ્માત સર્જાયો હતો.જો કે, આ અંગે પૂનમ પરમારે કહ્યું કે, મારા જમાઇ શ્રાવણમાં દારૂ પીતા નથી.
તેમણે એવું પણ કહ્યુ કે તેઓ પોલીસની કાર્યવાહીમાં સહયોગ આપશે. અકસ્માત થયાની જાણ થતા જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી જે બાદ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી. આ મામલે એવી માહિતી સામે આવી છે કે, મૃતકોમાં મામાના ઘરે રાખડી બાંધવા ગયેલી બે બહેનો અને તેમની માતાનો પણ સમાવેશ થાય છે.