દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને આથવા તો પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યા એક હેડ કોન્સ્ટેબલે રિવોલ્વર પોતાના લમણે રાખી અને ગોળી મારી આપઘાત કરી લીધો છે.
આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદમાં નવા બનેલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એકાઉન્ટ રાઈટર હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ સવારે સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં. તેમના આવવાનો સમય સામાન્ય રીતે સવારે 11 વાગ્યે હોય છે પરંતુ આજે તે વહેલા આવી ગયા હતા.
આ દરમિયાન જ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈના આવ્યા બાદ અન્ય સ્ટાફ બીજી તપાસમાં વ્યસ્ત હતો તે સમયે ઉમેશ હથિયારો અને દારૂગોળો જ્યાં પડ્યો હતો તે રૂમની અંદર દાખલ થયા. ઉમેશ પાસે હથિયારોના લોકરની ચાવી હતી. જેના કારણે લોકરની જગ્યાએ આવીને લોકરમાંથી રિવોલ્વર કાઢીને પોતાના લમણે રાખી અને ગોળી ઉતારી દીધી હતી.
ત્યારે આ વાતની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચી ગયાં હતાં. અધિકારીઓએ 108 ઈમરજન્સીની મદદ લીધી હતી પરંતુ ઉમેશનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું. હજુ હેડ કોન્સ્ટેબલ ઉમેશના આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી ના તેમની પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી છે.
ઉમેશભાઈ વર્ષ 2009થી પોલીસ વિભાગમાં નોકરીએ લાગ્યા હતા અને છેલ્લા 5 વર્ષથી તેઓ પોલીસ મથકમાં એકાઉન્ટ રાઇટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમને ક્યાં કારણો સાર આપઘાત કર્યો તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.