ગુજરાતમાંથી અવાર નવાર મોતના એવા એવા ચકચારી કિસ્સાઓ સામે આવે છે કે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ. ત્યારે હાલમાં જૂનાગઢમાંથી બે રીક્ષા ચાલકોના શંકાસ્પદ પીણુ પીધા બાદ મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રીક્ષા ચાલકે દારૂ સમજી આ શંકાસ્પદ પીણું પીધું હતું. આ મામલો સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયુ છે.
જૂનાગઢના ગાંધી ચોક પાસે આવેલ રિક્ષા સ્ટેન્ડ પર શંકાસ્પદ પ્રવાહી પીવાના કારણે બેના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પણ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે શંકાસ્પદ પીણાની બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ડીવાયએસપી અનુસાર, આ મામલે હાલ તપાસ ચાલુ છે. મોતનું ચોક્કસ કારણ મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
શંકાસ્પદ પ્રવાહી પીવાને કારણે રફીક ઘોઘારીની તબીયત બગડી હતી અને તેને સારવાર હેઠળ ખસેડાયો હતો. જો કે, તે પછી બોટલ જોન નામના યુવકએ પણ પીતા તેની પણ તબિયત બગડી હોવાથી તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં જોને દમ તોડી દીધો હતો. એક જ પીણું પીવાના કારણે બે લોકોના મોત થતા પોલિસ પણ હરકતમા આવી ગઇ હતી
અને પોલીસના ઉચ્ચ અધિકારી સહિત રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યાં આ મામલો સામે આવતા હવે રાજકીય માહોલ ગરમાઇ શકે છે.