પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલી એક હોટલમાં આગની વિનાશક ઘટનાએ 15થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આ હોટલ મધ્ય કોલકાતાના ફાલપટ્ટી મચ્છુઆ વિસ્તારની નજીક સ્થિત છે. ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાત્રે આશરે 8.30 વાગ્યે આગ લાગી હતી. થોડા કલાકોની મહેનત બાદ આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.
રૂમ-છત પરથી અનેક લોકોને બચાવવામાં આવ્યા
કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્માએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “મંગળવારની સાંજે લગભગ 8:15 વાગ્યે મેચુપટ્ટી વિસ્તારમાં આવેલી રીતુ રાજ હોટલમાં આગ ભભૂકી ઉઠી હતી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુ થયા છે અને હોટલના રૂમ તેમજ છત પરથી ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ હવે કાબૂમાં છે અને કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.”
હોટલમાં ઘણા લોકો રાત્રિ રોકાણ માટે હતા
આગ લાગી ત્યારે હોટલમાં ઘણા લોકો રાત્રિ રોકાણ માટે હતા અને આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા ધાબા તરફ દોડ્યા હતા.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટના રસોડામાંથી આગ શરૂ થઈ અને ધીમે ધીમે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ… એવો પણ આરોપ છે કે હોટલની અંદર લાગેલી આગને બુઝાવવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હતા… જેના લીધે આ ભયાનક ઘટના આટલી મોટો બની છે. હોટલના કર્મચારી મનોજ પાસવાન (લગભગ 40 વર્ષ) એ આગના ડરથી પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યો હતો. જ્યારે તેને કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અનેક ફાયર એન્જિનના પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. હોટલમાં ફસાયેલા મહેમાનોને સીડીનો ઉપયોગ કરીને નીચે ઉતારવામાં આવ્યા. બાદમાં, હોટલના વિવિધ સ્થળોએથી 13 મૃતદેહો મળી આવ્યા.
Image Credit: PTI