એક કહેવત તો બધાએ સાંભળી હશે કે “રામ રાખે તેને કોણ ચાખે” આ કહેવત ઘણી ઘટનાઓમાં સાર્થક થતી પણ જોવા મળતી હોય છે, ઘણા એવા લોકો હોય છે જે મોતના મુખમાંથી પાછા આવે છે અને મૃત્યુ તેમની એકદમ નજીક આવીને પણ ચાલ્યું જાય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના નડિયાદમાંથી સામે આવી છે જ્યાં એક બાળકે મૃત્યુને પણ ચકમો આપી દીધો.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદમાં રહેતા અને ધોરણ 3માં અભ્યાસ કરતા 9 વર્ષના અયાન તેના ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે જ તેનો પતંગ કપાતા તે લેવામાં માટે દોડ્યો આ દરમિયાન જ મકાન પાસેથી પસાર થઇ રહેલા 11,000 વોલ્ટના હાઈવોલ્ટેજ તારને પણ જોઈ ના શક્યો અને તેને અડકી ગયો.
અયાનના હાથમાં પતંગ તો ના આવી પરંતુ હાઇવોલેટજ તારનો કરંટ લાગતા જ ચોંટી ગયો અને હવામાં છથી સાત ફૂટ ઉંચે ફંગોળાયો. કરંટ લાગવાના કારણે તેનું હૃદય પણ બંધ થઇ ગયું અને શ્વાસ પણ રોકાઈ ગયા. તેનું આખું શરીર ભૂરું પડી ગયું અને નાક તેમજ મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. થોડીવારમાં જ તેને ખેંચ પણ આવવા લાગી અને કોમામાં સરી પડ્યો.
જોરદાર કરંટ લાગવાના કારણે અયાનનું હૃદય પણ માત્ર 5થી 10 ટકા જ ધબકતું હતું અને તેના બધા જ અંગો પણ ફેઈલ થઇ ગયા હતા. તેના ફેફસા નાજુક થઇ ગયા હતા અને તેમાંથી લોહી પણ વહી રહ્યું હતું, જેના કારણે તેને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી અયાનની હાલત વધુ ગંભીર જોતા તેને સારી હોસ્પિટલમાં લઇ જવાનું કહેવામાં આવ્યું.
એમ્બ્યુલન્સ મારફતે અયાનને ગંભીર હાલતમાં જ અમદાવાદની મેમનગર ખાતે આવેલી ડિવાઇન બાળકની હોસ્પિટલમાં ડોક્ટર હાર્દિક પટેલ અને તેમની ટીમ દ્વારા ચાલુ સારવારે જ લાવવામાં આવ્યો. જ્યાં બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી.
શરૂઆતમાં અયાનને વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો અને ફેફ્સમાંથી વહી રહેલા લોહીને બંધ કરવાની સારવાર ચાલુ કરવામાં આવી. હૃદયનું પમ્પીંગ સુધરવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો પણ સતત ચાલુ કરવામાં આવ્યા. મગજ પરનો સોજો અને ખેંચ બંધ કરવા માટે પણ દવાઓ કરવામાં આવી. સતત સાત દિવસની સરવર બાદ અયાનના મહત્વના અંગો ધીમે ધીમે મજબૂત થવા લાગ્યા અને બાળક ગંભીર પરિસ્થતિમાંથી બહાર આવ્યું.
અયાનને 12 દિવસ બાદ વેન્ટિલેટર ઉપરથી હટાવવામાં આવ્યો અને આખરે ડોકરની મહેનત અને પરિવારની પ્રાર્થનાઓ રંગ લાવી. હવે અયાનને કોઈપણ ખંડખાપણ વગર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અયાનના પરિવાર માટે તેનું સાજા થવું કોઈ ચમત્કારથી કમ નથી. તો બીજી તરફ ઉત્તરાયણના પર્વ ઉપર આ એક ચેતવણી રૂપ કિસ્સો પણ બન્યો છે. બાળકોનું આ સમયે ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બને છે.