ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કર્ણાટકના ગોકાક સ્થિત ‘શ્રી મહાલક્ષ્મી અર્બન કો-ઓપરેટિવ ક્રેડિટ બેંક’ ની કથળતી આર્થિક સ્થિતિ અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ના વિવિધ નિયમોના પાલનમાં નિષ્ફળતા બદલ તેનું બેંકિંગ લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે.

બેંક પાસે પૂરતું કેપિટલ અને ભવિષ્યમાં કમાણીની સંભાવનાઓ ન હોવાના કારણે તે પોતાના ખાતેદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ બની હતી, જેને પગલે RBI એ ગુરુવારથી બેંકના થાપણો સ્વીકારવા સહિતના તમામ નાણાકીય વહીવટ પર પ્રતિબંધ લાદી દીધો છે.

આ સાથે જ કર્ણાટક સહકારી મંડળીના રજિસ્ટ્રારને બેંક સમેટી લેવા માટે લિક્વિડેટર નિયુક્ત કરવાનો આદેશ અપાયો છે. જો કે, ખાતેદારો માટે મોટી રાહતની વાત એ છે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) ના નિયમો હેઠળ બેંકના આશરે 97.9% થાપણદારોને તેમના જમા થયેલા નાણાંની પૂરેપૂરી રકમ કાનૂની રીતે પાછી મળી જશે.