વિવાદાસ્પદ નિવેદન બાદ રાજભા ગઢવીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી હતી. જેમાં તેમણે કહ્યું કે, “મારો ઇરાદો કોઇને દુઃખ પહોંચાડવાનો ન હતો. મારા મગજમાં કોઇ ઘટના આવી ગઇ એટલે મારાથી બોલાઇ ગયું. હું આદિવાસી શબ્દ બોલ્યો નથી. આમ છતાં મારા નિવેદનથી આદિવાસીઓને દુઃખ થયું એ બદલ હું દિલગીર છું.’
ગુજરાતમાં વિવિધ કલાકારો અવનવા નિવેદનોના કારણે વિવાદમાં આવતા હોય છે. ત્યારે જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીએ પણ એક વિવાદાસ્પદ નિવેદન પર માફી માગી છે. ઉલ્લેખનીય છે કે, રાજભાએ પોતાના નિવેદનમાં ડાંગના આદિવાસીઓને લૂંટારાઓ કહેતાં આદિવાસીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.
રાજભા ગઢવીએ વિવાદાસ્પદ નિવેદનમાં શું કહ્યું હતુ ?
અગાઉ લોકડાયરામાં રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, ‘તમે ઉત્તરપ્રદેશ, બિહારના જંગલમાં જાઓ તો તમને જંગલવાસીઓ લૂંટી લે. મધ્યપ્રદેશ અને ડાંગના જંગલોમાં જાઓ તો તમારા કપડાં પણ રહેવા ન દે’. વધુમાં કહ્યું કે, ‘આ ફક્ત ગીરમાં એવું છે કે, જ્યાં જો તમે રાત્રે ભૂલા પડો તો તમને વચ્ચે આવીને લોકો જમાડવા માટે લઈ જાય.’
રાજભા પર એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરાઈ
રાજભાએ વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે, ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં કપડા કાઢીને લૂંટી લે છે. આ શબ્દોને પગલે ડાંગના આદિવાસી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે રાજભા ગઢવી સામે ગુનો નોંધવાની માંગ સાથે સામાજીક કાર્યકર સ્નેહલ ઠાકરે પોલીસ અધિક્ષક અને આહવા પોલીસ ઇન્સ્પેકટરને લેખિત અરજી કરી છે. તેમાં જણાવ્યું છે કે, લોક ડાયરાનાં જાહેર મંચ પર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થયો તે ડાંગના આદિવાસી સમાજ માટે કલંક સમાન છે. ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં બદનામ કરવાનું કૃત્ય, કાવતરું કરવામાં આવ્યું છે. જેથી કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો કચેરીનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
View this post on Instagram