ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપતુ હોય છે, તો ઘણીવાર એવું બને છે કે કોઇ વસ્તુની લાલચમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તે રૂંવાડા ઊભા કરી દે તેવો છે. વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં કુંભારીયાની એક પરણિતાની 70 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે હત્યા કરી દેવામાં આવી અને આ કેસમાં હવે પુણા પોલિસે યુપીથી મુખ્ય કાવતરાખોર સસરા અને નણંદને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઘટનાની વિગત જોઇએ તો, મૂળ યુપીના અને અને પુણા કુંભારિયામાં રહેતા અનુજ યાદવે 8 જાન્યુઆરી 2021ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં એવુ કહેવામાં આવ્યુ હતુ કે મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેની પત્નીને ટક્કર મારી અને આ દરમિયાન તેનું મોત નિપજ્યુ. જો કે, તે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં સામે આવ્યુ કે, અનુજની પત્ની શાલીનીની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલિસે અનુજ અને હત્યામાં મદદરૂપ થનાર નઇમની ધરપકડ કરી હતી.
આ કેસની તપાસમાં સામે આવ્યુ હતુ કે, શાલીનીના નામે જે ટ્રક લીધી હતી તેની લોન ન ભરવી પડે અને શાલીનીના નામે 70 લાખની વીમાની રકમ મેળવવા માટે તેની હત્યા કરવામાં આવી હતી. આરોપી પતિ અનુજે નઇમ નામના યુવકની મદદથી શાલીનીને ટ્રકથી ટક્કર મારી હતી અને અકસ્માત બાદ પોલિસને ખોટી હકિકત જણાવી હતી. શાલિનીની હત્યાનું કાવતરું પતિ અનુજ, સસરા સોહનસિંગ અને નણંદ નીરૂએ ઘડ્યું હતું.

ત્યારે બાતમીના આધારે અનુજના પિતા અને તેની બહેનને અલીગઢ જઇ પોલિસે ઝડપી પાડ્યા હતા.આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઇમની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં મૃતક શાલીનીના સસરા અને નણંદની ભૂમિકા સ્પષ્ટ થઇ હતી. તેઓ દહેજ માટે ત્રાસ ગુજારતા હતા.આ હત્યાનું સમગ્ર કાવતરૂં તેઓએ જ ઘડયું હતુ. ગુનો નોંધાયા બાદ 16 મહિનાથી સોહનસિંઘ અને નીરૂ મૃતકની 4 વર્ષની દીકરીને લઇ નાસતા-ફરતા હતા. મૃતકની 4 વર્ષની દીકરીનો કબજો નાના-નાનીને સોંપાયો.