હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો કાગડોળે હવે ચામાસાની સિઝનની રાહ જોઇ રહ્યા છે, ત્યારે હવે રાહ જોઇ રહેલા લોકોની રાહનો અંત આવવાના બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજયમાં ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર રાજયમાં વરસાદ આવવાની શક્યતા 15 જૂન બાદ છે. તેમણે જણાવ્યુ કે, શરૂઆતમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
11 મેથી લઇને 17 મે વચ્ચે આંધીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો સહિત દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે અને તેને પ્રી મોનસૂન એક્ટિવીટી ગણી શકાય. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયામાં કાળઝાળ ગરમીની સાથે સાથે હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

એવામાં હવે અંબાલાલ પટેલ અનુસાર આ વર્ષે ચોમાસુ સારુ રહેવાનું છે. 15મી જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. એકતરફ રાજ્યમાં ભારે પવન અને કમોસમી વરસાદી ઝાપટું પડતું હોવાથી ખેડૂત ચિંતાતુર થઈ ગયા છે. જણાવી દઇએ કે, 18 મેથી લઇને 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાન પલટો આવશે અને સાથે જ વાવાઝોડુ પણ સક્રિય થશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્રારા વ્યક્ત કરવામાં આવ્યુ છે.

15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને 99 ટકાથી 5 ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.