ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા અને હચમચાવી દે એવા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જામનગરનાં ધ્રોલ તાલુકાના સુમરા ગામેથી આવો જ એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો, જેમાં ચાર સંતાનો સાથે માતાએ આપઘાત કરી લીધો. ઘટનાના જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ, મહિલાએ ઘરકંકાસમાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જામનગરના ધ્રોલના સુમરા ગામમાં રહેતી એક પરિણીતાએ તેના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યુ હતુ, જેના કારણે પાંચેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને ધ્રોલ સીએચસી ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી આખા ગામમાં ચકચારી મચી ગઇ છે.

મૃતકોમાં 32 વર્ષિય ભાનુબેન જીવાભાઈ ટોરિયા, 10 વર્ષિય આયુષ જીવાભાઈ ટોરિયા, 4 વર્ષિય આનંદીબેન ટોરિયા, 8 વર્ષિય આજુબેન ટોરિયા અને 3 વર્ષિય ઋત્વિકનો સમાવેશ થાય છે. આ ઘટનને પગલે પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો એ વિચારી રહ્યા છે કે આખરે એક માતા તેના બાળકો સાથે આવું કેવી રીતે કરી શકે. જો કે હાલ તો આ સમગ્ર મામલાની વધુ માહિતી સામે નથી આવી.