ગઇકાલે ખબર આવી કે વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના ઘટી. પિકનિક પર ગયેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી મારી ગઈ અને તેને કારણે 23 જેટલા વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબી ગયા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા હોવાનું મીડિયા અહેવાલમાં કહેવામાં આવી રહ્યુ છે. જેમાં બે શિક્ષક અને 12 બાળકનો સમાવેશ થાય છે. ત્યારે હવે જે વિદ્યાર્થીઓનાં મોત થયા છે, તેમના નામ સામે આવ્યા છે. (તમામ તસવીરો સૌજન્ય : ઝી ન્યુઝ ગુજરાતી)
વિશ્વા નિઝામા, નેન્સી માછી, સકીના શેખ અને મુવાવઝા શેખ, ઝુહાબિયા સુબેદાર અને આયેશા ખલીફા, આયત મનસૂરી અને રેહાન ખલીફા. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકોને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવાયા હતા. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લખ્યું- વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે.
જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ દુર્ઘટના મામલે એક શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા.
તેમણે કહ્યુ- હોડીની ક્ષમતા 10થી12 બાળકની હતી અને તેમ છતાં પણ 25થી વધુ બાળકોને બેસાડાયા. આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ કે કેટલાંક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર જ બેસાડવામાં આવ્યા હતા. હાલમાં એવી ખબર સામે આવી રહી છે કે, બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં મુખ્ય કોન્ટ્રાક્ટર એટલે કે પરેશ શાહનું નામ નથી.