સુરતમાં શેર બજારના દલાલે આ લોકોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું… “હર્ષ સંઘવી હું તમારો….”

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સતત વધી રહ્યા છે. ઘણા લોકો પારિવારિક ઝઘડાના કારણે તો કોઈ આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવે છે. તો કોઈ વ્યાજખોરોના ત્રાસથી પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એવો જ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી શેર બજારના દલાલે જીવન ટૂંકાવી લીધું છે અને આપઘાત પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રવીણ કુંભાણીયા જે શેર બજારમાં દલાલીનું કામ કરે છે તેમણે 7માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, તેમણે આપઘાત પહેલા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ મેવાણીના નામનો ઉલ્લેખ કરી અને ન્યાયની માંગણી કરી હતી.

સુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે વ્યાજખોરોના ત્રાસથી તે જીવન ટૂંકાવી રહ્યા છે. લોકો તેમને આપેલા કરોડો રૂપિયા પાછા આપી રહ્યા નથી અને માંગનારા લોકો સતત ત્રાસ આપી રહ્યા છે, જેના કારણે તે આપઘાત કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે કતારગામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રવીણભાઈના આમ અચાનક આપઘાત કરી લેવાથી પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે, સાથે જ સુરત શહેરમાં પણ ચકચારી મચી ગઈ છે. પોલીસે પણ આ મામલાની ગંભીરતા સમજતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમને સુસાઇડ નોટમાં ગૃહમંત્રીને ઉલ્લેખીને લખ્યું છે, “સાહેબ હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે, હું તમારો એક સારો મિત્ર છું. મારા પરિવારનું ધ્યાન રાખજો. આ સાથે મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો !”

આ ઉપરાંત પ્રવીણભાઈએ સુસાઇડ નોટમાં જેની પાસે પૈસા લેવાના બાકી હતા અને જે લોકો તેમને પૈસા માટે હેરાન કરી રહ્યા હતા તેમનો પણ નામજોગ ઉલ્લેખ કર્યો છે. તેમને આ સુસાઇડ નોટને ફેસબુકમાં પોસ્ટ કરી છે, ત્યારે આ મામલે કતારગામ પોલીસ મથકના પીઆઈ બીડી ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટના અમારા ધ્યાન પર આવી છે. આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

Niraj Patel