દુર્ઘટનાએ છીનવી લીધી પરિવારની ખુશીઓ: માતા બાળકોને સ્કૂલે મુકવા જઈ રહી હતી અને એક્ટિવા નાળામાં તણાયું… બે બાળકોના મોત
હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને આ દરમિયાન ઘણી સાવચેતી પણ રાખવી છે, તે છતાં પણ સમાચાર અને સોશિયલ મીડિયામાં આવા સમયે ઘણી દુર્ઘટના બનવાના સમાચાર પણ સામે આવતા રહે છે. ત્યારે હાલ ખુબ જ દર્દનાક ઘટના પાલીતાણામાંથી સામે આવી રહી છે. જ્યાં એક મહિલા તેના બંને બાળકો સાથે નાળામાં તણાઈ જતા બંને બાળકોના કરુણ મોત નિપજ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન જ નાળા પરથી એક્ટિવા કાબુ ગુમાવતા ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.
બનાવની જાણ થતા જ ગ્રામજનો ઉમટી પડયા હતા અને તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો. તરવૈયા અને ફાયરની ટીમે મહિલાને પાણીમાંથી હેમખેમ બહાર કાઢી લીધી હતી અને તેમનો બચાવ થયો હતો જયારે મહિલાના બે સંતાનોની શોધખોળ કરી હતી. મોડેથી 10 વર્ષના એક બાળક સહિત બંને સંતાનના મૃતદેહ મળી આવ્યા હતા
આ દુઃખદ ઘટનાની અંદર શિક્ષિકા નીતાબેન જેઠવાના 10 વર્ષીય પુત્ર વિનય જેઠવા અને 18 વર્ષીય પુત્રી કિરણ જેઠવાના નાળાના પાણીમાં તણાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા. બંનેના મૃતદેહોને ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.