“એ દિવસ દૂર નથી જયારે જૂનાગઢ પાકિસ્તાનમાં થશે સામેલ” જાણો કોણ છે ભારતને ધમકી આપનાર નવાબ જહાંગીર ખાન
ગુજરાતના જૂનાગઢ રજવાડાના સ્વયંભૂ નવાબ જહાંગીર ખાન અને તેમના દિવાન સાહિબજાદા અહેમદ અલીએ ફરી એકવાર ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. તેમનું કહેવું છે કે એ દિવસ દૂર નથી જ્યારે જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે. તેની વાર્તા શાળાઓમાં ભણાવવી જોઈએ. સંયુક્ત ભારતના નારાની મજાક ઉડાવતા બંનેએ કહ્યું કે આ સૌથી મોટી છેતરપિંડી છે. જુનાગઢ કેવી રીતે આઝાદ થાય છે તે ભારત જોશે. જનસત્તાના રીપોર્ટ અનુસાર, રાવલપિંડીમાં નેશનલ યુનિવર્સિટી ઓફ મોર્ડન લેંગ્વેજીસમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન જહાંગીર ખાને કહ્યું કે જૂનાગઢ રજવાડાને તેમના દેશના નકશામાં સ્થાન આપવા બદલ તેઓ ઈમરાન ખાનનો આભાર માનવા માંગે છે.
તેમણે કહ્યું કે ત્યાંના હિંદુઓ પણ પાકિસ્તાનમાં સામેલ થવા માંગે છે. જૂનાગઢના પાકિસ્તાન સાથે વિલીનીકરણને 1947માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ભારતે છેલ્લા 74 વર્ષથી તેના પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. નવાબે કહ્યું કે જૂનાગઢ પાકિસ્તાનનું છે. જૂનાગઢ પર ભારતના કબજા અંગે પાકિસ્તાને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે જૂનાગઢનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું છે. તે અરબી સમુદ્રની ખૂબ નજીક છે.
લગભગ 4 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું રજવાડું ખૂબ જ સમૃદ્ધ માનવામાં આવતું હતું. મહેસૂલ વસૂલાતની દ્રષ્ટિએ, તે બ્રિટિશ શાસનના 561 રજવાડાઓમાં પાંચમું હતું. તેની પોતાની સેના પણ હતી. ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નહેરુની સરકારમાં ગૃહમંત્રી રહેલા સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 561 રજવાડાઓનું ભારતમાં વિલિનીકરણ કર્યું ત્યારે જૂનાગઢના નવાબ મોહમ્મદ મહાબત ખાન પાકિસ્તાન સાથે ભળવા માંગતા હતા.
પરંતુ અહીંની હિંદુ વસ્તી તેમની તરફેણમાં ન હતી. લોકોનું વલણ જોઈને જૂનાગઢનો નવાબ પરિવાર ઝીણા સાથે સમાધાન કરીને પાકિસ્તાન ભાગી ગયો. મોહમ્મદ જહાંગીર ખાન તેમના વંશજ છે. અત્યારે તે પાકિસ્તાનમાં રહીને નિષ્ફળતામાં પોતાનું જીવન જીવી રહ્યા છે. પરંતુ જૂનાગઢને મુક્ત કરવાનું સ્વપ્ન હજુ પણ તેમની આંખોમાં છે. જૂનાગઢનો વિવાદ આઝાદી બાદથી ચાલી રહ્યો છે. પાકિસ્તાને જાહેર કરેલા નકશામાં કાશ્મીર, સિયાચીનની સાથે ગુજરાતના અનેક વિસ્તારોને પણ પોતાના ગણાવ્યા છે. પાકિસ્તાને પણ જૂનાગઢને પોતાનું હોવાનો દાવો કર્યો છે.
Nawaz of #Junagadh, Nawab Jahangir Khan Jee and Dewan of Junagadh Shahibzada Ahmed Ali, have reiterated and reminded #India that Junagadh was and would continue to be part of #Pakistan, raising questions over the independence of Junagadh state. pic.twitter.com/8CFaahVsw9
— IANS Tweets (@ians_india) March 9, 2022
જો કે, IANS દ્વારા એક ટ્વિટ પણ કરવામાં આવ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, જૂનાગઢના નવાબ જહાંગીર ખાન અને જૂનાગઢના દીવાન સાહિબજાદા અહમદ અલીએ ભારતને દોહરાવ્યુ અને યાદ અપાવ્યુ કે, જૂનાગઢ રાજયની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ છે અને રહેશે.