નમકીન અને પેકેટ ફૂડ્સ બનાવનારી કંપની ગોપાલ સ્નેક્સના શેરમાં ગુરૂવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતના રાજકોટ સ્થિત આ કંપનીના એક યુનિટમાં આગ લાગવાના સમાચાર બાદ કંપનીના શેર વેચવાની હોડ લાગી હતી. ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમતમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો અને ભાવ 406.75 રૂપિયાના નિચલા સ્તરે આવી ગયો હતો. આ શેર 6.86 ટકાના ઘટાડા સાથે 420.90 રૂપિયા પર બંધ થયો હતો.
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી
ગોપાલ સ્નેક્સે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું,”કંપનીએ ઘટનાને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લીધા છે. રાજકોટનું યુનિટ બંધ હોવાથી તેની ભરપાઈ કરવા માટે મોડાસા અને નાગપુર યુનિટમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ વધારવામાં આવી છે. રાજકોટ ફેસિલિટીઝની મિલકતનો સંપૂર્ણ વીમો લેવામાં આવ્યો છે. સદનસિબે કર્મચારીઓને કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. અમારી IT સિસ્ટમમાં કોઈ ડેટા ખોટ કે વિક્ષેપ થયો નથી.” મહત્વનું છે ,કે એક દિવસ પહેલા શેર 451.90 રૂપિયા પર બંધ થયો હતો. 6 નવેમ્બર 2024ના શેરની કિંમત 519.95 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તો જૂન 2024માં શેરની કિંમત 300.95 રૂપિયાના નિચલા સ્તર પર હતી.
2024નો IPO
માર્ચ મહિનામાં ગોપાલ સ્નેક્સનો આઈપીઓ લોન્ચ થયો હતો. કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ ₹381-₹401 પ્રતિ ઈક્વિટી શેર પર હતો. આઈપીઓમાં સંપૂર્ણ રીતે 1.62 કરોડ શેરના વેચાણનો પ્રસ્તાવ હતો. એગ્રીપ્રોડક્ટ્સ અને બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણીએ ₹520 કરોડ અને ₹80 કરોડના ઈક્વિટી શેર વેચ્યા હતા. બાકીના ₹50 કરોડ હર્ષ સુરેશકુમાર શાહે ઓફર ફોર સેલ એટલે કે OFS માં વેચ્યા હતા. કંપનીમાં પ્રમોટર્સનો 93.5% હિસ્સો હતો અને બાકીનો 6.5% હિસ્સો જાહેર શેરધારકો પાસે હતો. આમાં એક્સિસ ગ્રોથ એવેન્યુઝ AIF – I અને અશોકા ઇન્ડિયા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ PLC દરેક 1.48% હિસ્સો ધરાવે છે.”,