અમદાવાદની શાન એવા અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડી, 6 મહિના પહેલા PM મોદીએ ઓપનિંગ કર્યું હતું …

અમદાવાદની શાન ગણાતા એવા રિવરફ્રન્ટ પર સાબરમતી નદી પર બનાવવામાં આવેલા અટલ બ્રિજ પર બનાવવામાં આવેલ કાચ તૂટવાની ઘટના સામે આવી છે. એવું જણાવવામાં આવ્યુ હતુ કે આ કાચ પર એકસાથે મોટી સંખ્યા લોકો ઉભા રહી શકે છે પણ બ્રિજ લોકાપર્ણ થયાના સાતેક મહિનામાં જ કાચ તૂટ્યો હોવાની ઘટના સામે આવતા કાચની ગુણવત્તા વિશે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. હાલ તો આ કાચને કોર્ડન કરી દેવાયો છે.

જણાવી દઇએ કે, અટલ બ્રિજ પર 8 ગ્લાસ લગાવવામાં આવ્યા છે અને સાત મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું હતું. ત્યારે હવે આટલા જ મહિનામાં આ પ્રકારે કાચમાં તિરાડ પડતા પ્રશ્નો ઉભા થયા છે. જો કાચ તૂટે તો સહેલાણી સીધા નદીમાં પડી જાય તેવી મોટી દુર્ઘટના પણ બની શકે છે…શહેરીજનોને અટલ બ્રિજની ભેટ મળી ત્યારથી એટલે કે પહેલા દિવસથી જ આ ફૂટ ઓવરબ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે. જો કે, અટલ બ્રિજની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એકસાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે. હાલ તો અટલબ્રિજનો કાચ તૂટતા સદનસીબે કોઈ મોટું ડેમેજ ન થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. મોટા પ્રમાણમાં મુલાકાતીઓના ધસારાના કારણે તેમજ તાપના કારણે કાચ પર તિરાડ પડી હોવાનું અનુમાન છે. હાલ તકેદારીના ભાગરુપે તૂટેલા કાચ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

27 ઓગસ્ટ 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાબરમતી નદી પર 80 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. અટલ ઓવરબ્રિજ પર ચાર સ્થળે જે કાચ લગાવવામાં આવ્યા છે તે પૈકી એકસ્થળે કાચમા તિરાડ પડતા મ્યુનિ.તંત્ર પણ દોડતુ થઈ ગયુ છે.

Shah Jina