પાકિસ્તાનમાં આતંકવાદીઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનને કરી હાઈજેક, 30 સૈનિકો માર્યા ગયા, 27 આતંકી ઠાર અને કેટલાય મુસાફરોને બનાવ્યા બંધક

મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને હાઈજેક કરી હતી. હવે, લગભગ 24 કલાક પછી, સેનાના ઓપરેશનમાં 27 બળવાખોરો માર્યા ગયા છે. ક્વેટાથી પેશાવર જતી આ ટ્રેનમાં લગભગ 500 લોકો સવાર હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. આમાંથી BLAએ 214 મુસાફરોને બંધક બનાવ્યા, જ્યારે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા.

ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 155 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે. BLA એ બંધકોને યુદ્ધકેદીઓ તરીકે વર્ણવ્યા છે, અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માગ કરી છે. આ માટે BLA એ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.

બલુચિસ્તાનના બોલાન જિલ્લામાં હુમલો થયો

જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. સિબી પહોંચવાનો સમય બપોરે 1.30 વાગ્યાનો હતો. આ પહેલાં, બપોરે લગભગ 1 વાગ્યે, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં હુમલો થયો હતો. રાત્રે 10 વાગ્યે 8 કલાક પછી પણ, ટ્રેન સંપૂર્ણપણે BLA લડવૈયાઓના નિયંત્રણમાં હતી.

પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ કેટલાક મુસાફરોને મુક્ત કર્યા છે. ઘણા લોકોને ટ્રેનમાંથી ઉતારીને પહાડી વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા. BLA લડવૈયાઓ મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સેનાના જવાનો સાવધાની સાથે કામ કરી રહ્યા છે કારણ કે જીવનું જોખમ છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ લડવૈયાઓ કાયર છે. તેઓ સરળ લક્ષ્યો પસંદ કરે છે અને ચોરીછૂપીથી હુમલો કરે છે. જોકે, પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

​​​​​​BLAએ પહાડી વિસ્તારનો લાભ લઈને હુમલો કર્યો

બલૂચ લિબરેશન આર્મીએ બોલાનના મશ્કાફમાં ગુડાલર અને પીરુ કુનરી વચ્ચે આ હુમલો કર્યો હતો. આ એક પહાડી વિસ્તાર છે, જ્યાં 17 ટનલ છે, જેના કારણે ટ્રેન ધીમી ગતિએ ચલાવવી પડે છે. આનો ફાયદો ઉઠાવીને BLA એ ટ્રેન પર હુમલો કર્યો. સૌ પ્રથમ, બલૂચ આર્મીએ મશ્કાફમાં ટનલ નંબર-8 માં રેલવે ટ્રેક ઉડાવી દીધો. આ કારણે જાફર એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ. આ પછી BLA એ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ટ્રેન ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો.

આ ટ્રેનમાં સુરક્ષા દળો, પોલીસ અને ISI એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબ જઈ રહ્યા હતા. ઘટનાની માહિતી મળતાં, પાકિસ્તાની સેનાએ જમીન પરથી BLA પર ગોળીબાર કર્યો અને હવામાંથી બોમ્બ પણ છોડ્યા, પરંતુ BLA એ ટ્રેન કબજે કરી લીધી. આ દરમિયાન 11 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા. આ પછી, પાકિસ્તાન સેનાએ તાત્કાલિક આ વિસ્તાર તરફ એક ટ્રેન મોકલી, જેમાં સૈનિકોને પણ મદદ માટે મોકલવામાં આવ્યા. પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવીએ કહ્યું કે અમે આવાં જાનવરો સાથે સમાધાન કરીશું નહીં જેમણે નિર્દોષ મુસાફરો પર ગોળીબાર કર્યો.

Twinkle