12 જૂનની તારીખ અમદાવાદ માટે કાળ બનીને આવી. 1,2, નહીં પણ પૂરા 240 લોકોનો કોળિયો કરી ગયો એવો ગોઝારો દિવસ એટલે ગુરુવાર 12 જૂન 2025. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ફ્લાઇટમાં સવાર લોકોએ જીવ ગુમાવ્યા.આ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા દરેક લોકો સાથે જોડાયેલી કોઈને કોઈ સંવેદનશીલ વાત સામે આવી રહી છે. આવી જ એક સંવેદનશીલ કહાની છે ભાવિક મહેશ્વરીની.
હજુ તો પત્નીના હાથની મહેંદી સુકાઈ પણ નહતી,ત્યાં તો તેને પોતાનો જીવનસાથી ગુમાવી દીધો. 25 વર્ષીય ભાવિક મહેશ્વરી પણ આ પલેન દુર્ઘટનામાં મોતને ભેટ્યો. ભાવિક મહેશ્વરી છેલ્લા 5 વર્ષથી લંડનમાં રહેતો હતો, જે કોર્ટ મેરેજ માટે ભારત આવ્યો હતો. હજુ તો ભાવિકે કડીની યુવતી સાથે બુધવારે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના તેને જોયેલા સપનાઓ સ્વપ્ન જ રહી ગયા. ગુરુવારે વિમાન દુર્ઘટનામાં તેણે જીવ ગુમાવ્યો. ભાવિક મહેશ્વરીને નવજીવનની શરૂઆત પહેલા જ અંત આવી ગયો.
શહેરના વાડી મહાદેવ તળાવ પાસે મધુકુંજ સોસાયટીમાં રહેતો ભાવિક પાંચ વર્ષથી લંડનમાં રહીને અભ્યાસ કરતો હતો. વિઝા પ્રોસેસ માટે વહેલા કોર્ટ મેરેજ કરવા માટે ભાવિક વતન આવ્યો હતો. દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો. તે એક સાથે ત્રણ પરિવારનો આધાર હતો. વડોદરાના વાડી વિસ્તારના મહેશ્વરી પરિવારનો દીપક બુઝાઈ ગયો. ભવિષ્યની મીઠી આશાઓ સાથે નીકળેલો મહેશ્વરી પરિવારનો દીકરો પાછો જ ન આવ્યો.પરિવાર ભારે શોકમાં ગરકાવ છે.
છેલ્લે ભાવિક સાથે થયેલી વાતને યાદ કરતા તેના પિતાએ કહ્યું મારી હિંમત જ એ હતો, મારી હિંમત તૂટી ગઈ. પરિવારના સભ્યો સતત હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી રહ્યા છે. તેઓ તેમના દીકરા ભાવિકના મૃત્યુ બાદ સતત રડી રહ્યા છે. મહેશ્વરી સમાજના આગેવાનો પરિવારને સાંત્વના આપી રહ્યા છે. પરિવાર પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી પૂર્ણ થયા પછી તેમના દીકરાના અંતિમ સંસ્કાર કરવા માટે રાહ જોઈ રહ્યો છે.