અમદાવાદમાં 12 જુન ગુરુવારના રોજ સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. વિશ્વાસ કુમાર રમેશે મીડિયા ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું.સીટ 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશ એક માત્ર વ્યક્તિ હતા કે જેમનો આ ક્રેશની દુર્ઘટનામાં બચાવ થયો.
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.વિમાનની ડાબી બાજુના ઇમરજન્સી દરવાજાની બાજુમાં 11A માં બેઠેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો.
તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા ડોકટરોને કહ્યું, “વિમાન તૂટી ગયું, અને મારી સીટ ઉછળીને બહાર નીકળી ગઈ, આ રીતે હું બચી ગયો.” રમેશે ડોક્ટરોને જણાવ્યું કે તેઓ વિમાનમાંથી કૂદી પડ્યા ન હતા, પરંતુ વિમાન તૂટી પડતાં તેમની સીટ બહાર ફેંકાઈ ગઈ હતી. તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા અને ટ્રોમા વોર્ડમાં દેખરેખ હેઠળ છે. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. મારી આંખો સામે જ બધું જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ.
જણાવી દઈએ કે વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહેતા હતા. બંને સાથે જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી. તે હૉસ્પિટલમાં સુરક્ષિત છે. પરંતુ બીજા ભાઈ અજયની ભાળ મળી નથી. તે પણ વિશ્વાસની જેમ સુરક્ષિત હોય તેવી આશા છે. વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો. પરંતુ તેનો ભાઈ અજય હજુ સુધી મળ્યો નથી. જેથી તેનો પરિવાર શોકમાં છે. વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો છે.