અમદાવાદના ઘાટલોડિયામાં વર્ધમાનનગર રહેતી એક ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરતી યુવતીની લાશ મળી આવી છે. મૃતક યુવતી મૂળ આસામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ યુવતી ચારેક માસથી એક યુવક સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. યુવતીએ બીજા માળેથી પડતું મૂકતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ દ્વારા શંકાને આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.
મૂળ આસામની શિવાલી કશ્યપ નામની 26 વર્ષીય યુવતીએ ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇન્ટીરિયર-ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો. આ યુવતી સૌરભ પુરોહિત નામના 31 વર્ષીય યુવક સાથે બે વર્ષથી પરિચયમાં હતી. શિવાલી અને સૌરભ ચારેક માસથી લિવઇનમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યુ છે કે, બંનેને લગ્ન કરવા હતા પરંતુ પરિવારની સહમતી ન હોવાથી શિવાલી લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી.10 જૂન મંગળવારે સાંજે પણ શિવાલી અને સૌરભ વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી થઇ હતી. જે બાદ રાત્રે આ ઘટના બનવા પામી હતી.
જોકે, બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ વર્ધમાન નગરમાં યુવતી શિવાલી રહેતી હતી. અચાનકથી જ તેનું મોત થતાં આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. પ્રેમી સાથે ઝઘડો થયા બાદ યુવતીએ આપઘાત કર્યો હોવાની પોલીસને પ્રાથમિક વિગતો મળી છે. આ અંગે ઘાટલોડિયા પીઆઇએ જણાવ્યું કે, યુવતીના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને હાલમાં યુવકની પૂછપરછ ચાલી રહી છે. શિવાલીએ આપઘાત કરતા મોતને ભેટી છે કે કેમ? તેની હકીકતના મૂળ સુધી પહોંચવા પોલીસે પેનલ ડોક્ટર અને વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાવીને તમામ શંકાઓ પર તપાસ હાથ ધરી છે. બીજીબાજુ પોલીસે રાજસ્થાનના સૌરભ પુરોહિતની પણ પૂછપરછ હાથ ધરી છે.