આસારામ 11 વર્ષ 4 મહિના પછી આવ્યો બહાર: ભક્તોએ કરી આતિશબાજી, જોધપુર જેલમાં ઉમ્રકેદની સજા કાપી રહ્યો હતો
બારીમાંથી હાથ હલાવ્યો, જોવા મળ્યા જૂના તેવર ! ખૂબ થઇ આતિશબાજી- આસારામની જમાનતથી ભક્તોમાં જશ્ન
બળાત્કાર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ આસારામ મંગળવારે એટલે કે 14 જાન્યુઆરીએ મોડી રાત્રે ભગત કી કોઠી (જોધપુર) સ્થિત આરોગ્યમ હોસ્પિટલથી નીકળી પાલ ગામ (જોધપુર) સ્થિત આશ્રમ પહોંચ્યો હતો. હોસ્પિટલની બહાર તેના સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સમર્થકોએ આસારામને હાર પહેરાવ્યો.
આસારામ રાત્રે લગભગ 10:30 વાગ્યે આશ્રમ પહોંચ્યો અને અહીં ભક્તોએ ફટાકડા ફોડી-આતિશબાજી કરી આસારામનું સ્વાગત કર્યું. રાત્રે 11 વાગ્યે આસારામ એકાંતમાં ગયો. બુધવારે સવારે જોધપુરના આશ્રમમાં આસારામ ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જો કે સમર્થકોને અપીલ કરવામાં આવી કે તેઓ જોધપુર આશ્રમમાં ન આવે કારણ કે આસારામ સારવાર માટે અન્ય કોઈ જગ્યાએ જઈ રહ્યો છે.
આસારામ વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગર અને રાજસ્થાનના જોધપુરમાં બળાત્કારના કેસ નોંધાયેલા છે. બંને કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગુજરાત કેસમાં તેને 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા, ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર કેસમાં પણ જામીન મળ્યા. સ્વાસ્થ્ય કારણોસર આસારામને 11 વર્ષ 4 મહિના અને 12 દિવસ પછી કોર્ટ તરફથી વચગાળાના જામીનના રૂપમાં આંશિક રાહત મળી છે.
મંગળવારે કોર્ટે આસારામની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આસારામ તેના અનુયાયીઓને મળી શકશે નહીં. જણાવી દઇએ કે, ભક્તોએ ફૂલોની વર્ષા કરી આસારામનું સ્વાગત કર્યું. મોડી રાત્રે જ્યારે આસારામને ખાનગી હોસ્પિટલમાંથી પાલ આશ્રમ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે સમર્થકો સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. આ પછી આસારામ જૂના રંગમાં જોવા મળ્યો.
આસારામ પહેલાની જેમ ગુલાબના ફૂલોથી બનેલી લાલ પાઘડી સાથે ચહેરા પર જૂની ચમક અને વલણ સાથે જોવા મળ્યો. બંને કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ આસારામ વિશે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. તેના મહાકુંભમાં જવા અંગે માત્ર અટકળો જ નથી થઈ રહી, પરંતુ આ અંગે ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે.
