ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના મામલા સામે આવે છે, જેમાં અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે હાલમાં જ ગતરાત્રિના અમદાવાદ-ઈન્દોર હાઈવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોના મોત પણ નિપજ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદ-ઈન્દોર હાઈવે પર રસ્તા વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ખાઇ ગઇ. કારે પલટી મારતા ચારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. ઘટનાની જાણ થતા પોલિસ પણ આવી પહોંચી અને અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા.
મૃતકોના નામ, સંજય ઠાકોર, રાજેશ ઠાકોર અને કાર ચાલક વિનોદ સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતકો બાલાસિનોરના ઓથવાડના રહેવાસી હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ તો પોલિસે અકસ્માતને લઇ વધુ તપાસ હાથ ધરી છે. કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે.
મોડીરાત્રે ઈકો કાર જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે રોડ વચ્ચે એકાએક ગાય આવી અને ઈકો કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ અને લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
