બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર રાત્રે લગભગ 2:30 વાગ્યે એક ચોરે છરીથી હુમલો કર્યો, ચોર અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને જ્યારે એક આયાએ તેને જોયો ત્યારે તેણે જોરથી ચીસો પાડી. અવાજ સાંભળીને સૈફ બહાર આવ્યો અને પરિવારને બચાવવા લડ્યો. જો કે ત્યારે જ ચોરે સૈફ પર હુમલો કર્યો અને અભિનેતા ગંભીર રીતે ઘાયલ થયો. ઘાયલ સૈફને લીલાવતી હોસ્પિટલ લઇ જવાયો અને ત્યાં તેની સર્જરી કરવામાં આવી, હાલમાં સૈફ ખતરાની બહાર છે પણ ICUમાં છે.
ચોરે સૈફને ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા માર્યા હતા, જે બાદ સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી. હાલમાં મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો. મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે સૈફ-કરીનાના ઘરે પહોંચી. સૈફની પ્લાસ્ટિક સર્જરી પણ કરવી પડી. જો કે હવે તેની હાલત સ્થિર છે અને ડિસ્ચાર્જ પર આવતીકાલે નિર્ણય થશે.
મુંબઈ પોલીસના DCPએ જણાવ્યું કે એક હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે, આરોપીએ સીડીનો ઉપયોગ કર્યો હતો. પણ આરોપી પકડાયો છે કે નહીં તે અંગે હાલ પોલિસે અપડેટ નથી આપી. મુંબઈ પોલીસના DCPએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ સૈફના ઘરેથી ત્રણ લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
પ્રાથમિક તપાસ મુજબ, ઘરની અંદર હાજર કોઈ વ્યક્તિએ હુમલાખોરને પ્રવેશ આપ્યો હોય એવું લાગી રહ્યુ છે, કેમ કે કોઈએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો નથી. સીસીટીવીમાં પણ કોઈ ઘરમાં આવતુ નથી દેખાતું. બાંદ્રા પોલીસ સ્ટેશને હુમલાખોરોને શોધવા માટે 10 ટીમો બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે 8 ટીમો પણ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે સૈફના ઘરે છે અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ ટીમનો ભાગ છે.
