સૈફ અલી ખાન પર હુમલાના આરોપીએ કર્યો નિર્દોષ હોવાનો દાવો, કોર્ટમાં દાખલ કરી જામીન અરજી
‘જજ સાહેબ, હું તો…’ આખરે સૈફ અલી ખાન પર અટેક કરવાવાળો કેમ કોર્ટ પહોંચ્યો, શું કરી અપીલ
બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં શરીફુલ ઇસ્લામ શહેઝાદની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કથિત આરોપીએ તેના વકીલ દ્વારા મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ કેસ હાલમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ તે સેશન્સ કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળનો કેસ છે. બાંદ્રા પોલીસ ચાર્જશીટ દાખલ કર્યા પછી, કેસ મુંબઈ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
હાલમાં પોલીસે હજુ સુધી ચાર્જશીટ દાખલ કરી નથી. અરજીમાં જણાવાયું છે કે શરીફુલ ઇસ્લામે કોઈ ગુનો કર્યો નથી અને એફઆઈઆર ખોટી છે. તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ જરૂરી પુરાવા મળી આવ્યા છે અને તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર ચાર્જશીટ દાખલ કરવાની બાકી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શરીફુલ ઇસ્લામે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે.
આવી સ્થિતિમાં, તેને કસ્ટડીમાં રાખવામાં ન આવવો જોઇએ, કારણ કે તે ટ્રાયલ પહેલા તેને સજા આપવા જેવું હશે. તેને જામીન આપવા જોઈએ. શરીફુલ ઇસ્લામના વકીલે કહ્યુ- પોલીસ પાસે પહેલાથી જ સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડ સહિત તમામ મહત્વપૂર્ણ પુરાવા છે. આરોપીઓ દ્વારા પુરાવા સાથે છેડછાડ કરવાની કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોઈ આશંકા નથી.
જણાવી દઇએ કે 16 જાન્યુઆરી 2024ના રોજ કથિત રીતે શરીફુલ ઇસ્લામ લૂંટના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો અને હુમલા દરમિયાન તેણે સૈફને ઘાયલ કર્યો હતો. આ ઘટના અંગે સૈફના સ્ટાફે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ દાવો કર્યો કે તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
