ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ આ દિવસોમાં ચર્ચામાં છે. મહાકુંભ મેળા દરમિયાન મધ્યપ્રદેશના મહેશ્વરની માળા વિક્રેતા મોનાલિસા અને આઈઆઈટી બાબા અભય સિંહ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. માળા વેચનાર મોનાલિસાની વાદળી આંખો અને તેની સાદગીને કારણે તેના અનેક વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. આ તમામ ઘટનાઓમાં કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા, જે બિનજરૂરી રીતે વિવાદનું સ્વરૂપ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે હવે બાબા બાગેશ્વર એટલે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પ્રયાગરાજમાં મહાકુંભની આ ઘટનાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “મહાકુંભ તેના હેતુથી ભટકી ગયો છે. મહાકુંભમાં હિંદુ રાષ્ટ્ર કેવી રીતે બનવું તેની ચર્ચા થવી જોઈએ. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રીલ વાયરલ કરનારાઓ સામે અવાજ ઉઠાવ્યો અને કહ્યું, “મહાકુંભ રીલ નહિ રિયલ હોવો જોઈએ. દેશ હિંદુ રાષ્ટ્ર કેવી રીતે બનશે તે અંગે ચર્ચા થવી જોઈએ.
વિવાદ આના પર થવો જોઇએ કે જે હિંદુ હતા અને હવે નથી, તેમની ઘર વાપસી તેવી રીતે થાય ? પ્રયાગરાજ મહાકુંભનો લાભ ઉઠાવવા આઈઆઈટી વાળા બાબા અભય સિંહ ખૂબ ચર્ચા મેળવી રહ્યા છે. તેમની વિચારવાની રીત સાવ અલગ છે. ધર્મ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સિવાય તેઓ રાજનીતિ પર પણ પોતાના મંતવ્યો આપે છે. IIT બાબા કહે છે, “દેશની રાજનીતિ સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. હવે જાતિ અને ધર્મના આધારે રાજનીતિ થઈ રહી છે. આને યોગ્ય ન કહી શકાય.” તેઓ કહે છે, “પીએમ મોદી એક કર્મયોગી છે. તેમનું જીવન તપસ્યા છે. આ એટલા માટે છે કારણ કે કોઈ પરિણામની ઈચ્છા રાખ્યા વિના કોઈના માટે પોતાના જીવનનું બલિદાન આપવું ખૂબ મુશ્કેલ કાર્ય છે.”
જણાવી દઇએ કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન રવિવારે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં ભીષણ આગની ઘટના બની હતી અને મામલો હજુ શાંત થયો નથી અને બીજા દિવસે સોમવારે ફરી એકવાર સેક્ટર 16માં આગની ઘટના બની હતી. કિન્નર અખાડાની સામે પ્રતાપગઢ સ્થિત શ્રી હરિ દિવ્ય સાધના પીઠના કેમ્પમાં આ આગ લાગી હતી. જેને સ્થાનિક લોકોએ પાણી અને રેતી નાખીને ઓલવી હતી.
